Sunday, 7 September 2014

અવેતન નાટકો ( જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ )

                      અવેતન નાટકો
  (જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ) 
                                                             
           આજે રીમોટ ના ઈશારે , આપણી ઈચ્છા પ્રમાણે આપણે ટીવી પર મનોરંજન કાર્યક્રમો નીહાળી શકીએ છીએ, તે ઉપરાંત સિનેમાગૃહ માં મનપસંદ ફિલ્મ કે નાટ્યગૃહ માં મનપસંદ નાટક માણી  શકીએ છીએ .મનોરંજન નો ખજાનો જાણે કે  આપણા હાથ માં આવી ગયો છે ,પરંતુ વર્ષો પહેલાં જ્યારે મનોરંજન ના સાધન તરીકે ફક્ત રેડીઓ (અને એમાં પણ એફ. એમ  નહિ) જ  અસ્તિત્વ માં હતો  અને એ પણ શ્રીમંત માણસો જ વસાવી  શકતા. ત્યારે મનોરંજન માટે જુદા જ પ્રકાર ના સાધનો અને વ્યવસ્થા નો ઇતિહાસ પણ મનને આનંદ આપે એવો છે .
       અત્યાર ના વડીલો કે જેમનું બાળપણ નાના ગામડામાં વીત્યું છે તેમને બરાબર યાદ હશે કે એ જમાનામાં,મનોરંજન એટલે ભવાઈસવારના ગાડાં માં, ઘોડાઓ પર બેસીને  તથા પગે  ચાલીને ગામ માં ભવાયા નો પ્રવેશ થાય એટલે નાનાં મોટાં દરેક જણ આનંદ માં આવી જાય , અને સાંજ પડે ત્યાં વાળુ (dinner) પતાવી ને ભવાયા ના ખેલ જોવા આવી જાય. અને ભવાઈ કરવા માટે  ગામના ચોરા  ની સામે ની ખુલ્લી જગ્યા , આધુનિક ભાષા માં કહીએ તો ઓપન એર થીએટર , કાયમ માટે નિશ્ચિત જ હોય. આ માટે બેસવા ના સાધન , ખાટલી ,ગોદડા વગેરે પણ સાથે લાવવા ના. લગભગ આખી રાત જુદા જુદા ખેલ ભજવાય પરંતુ આ જોવા માટે કોઈ પણ પ્રકાર ની ટીકીટ, પાસ કે આમંત્રણ કશા ની જરૂર નહિ, રામ વિવાહ જેવા પ્રસંગ માં તો ગામ ના લોકો પણ જાનૈયા ની જેમ વર્તે અને દ્રશ્ય ને વાસ્તવિક બનાવી દે . ભવાયા  ના વેશ જોઈ ને  લોકો પોતાની રીતે પૈસા , વસ્તુ , અનાજ વગેરે આપે .અને ભવાયા પણ પોતાનું જીવન આનંદ પૂર્વક તથા સન્માન પૂર્વક જીવી શકતા કોઈપણ પ્રકાર ના કાયદા વગર સમાજે જવાબદારી ઉઠાવી હોય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે .
     ભવાયા ના વેશ ની જેમ નાટક પણ મનોરંજન નું ખૂબજ પ્રચલિત અંગ છે ,અત્યારે સ્ટેજ પર ભજવાતાં નાટક આધુનિક ટેકનોલોજી ને લીધે એકદમ ઉત્કૃષ્ટ પ્રકારના હોય છે ,અને નાટકના કલાકાર પણ ફિલ્મ ના અભિનેતા ની જેમ સારી કમાણી કરતા હોય છે .નાટક ની ખરી મજા “અવેતન નાટક” પૂરી પાડે છે. અવેતન નાટક એટલે જેમાં કલાકાર ને કશું જ વેતન ના મળે , અને નાટક જોવા માટે પ્રેક્ષકો એ  પણ પૈસા ન આપવા પડે ,હા – કદાચ પાસ લેવા ની મહેનત કરવી પડે . આ પ્રકારના નાટક સામાન્ય રીતે જ્ઞાતિ ના મેળાવડા માં , શાળા-કોલેજ ના વાર્ષિકોત્સવ માં વગેરે માં ભજવાતાં હોય છે .અવેતન નાટક આપણા દરેક ના જીવન નું એક અવિસ્મરણીય પાસું છે .અભિનય ની વાત આવે એટલે કોઈપણ ઉંમરે મનના એકાદ ખૂણામાં સ્પંદન જરૂર ઊભા થાય  આપણને  બાળપણ માં લઇ જાય . બચપણ માં નાટક ન કર્યાં હોય તેવા બહુ થોડા લોકો હોય છે .અને આ નાટક એટલે અવેતન નાટક. મારા બચપણ ના એ દિવસો મને યાદ આવે છે કે જ્યારે ટેલીવિઝન તો શું રેડીઓ પણ અસ્તિત્વ માં નહોતો ,એ વખતે અમારા ગામમાં અમારી જ્ઞાતિ (નાગર) ના યુવક ને મનોરંજન કાર્યક્રમ કરવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો પહેલી મુશ્કેલી જ્ઞાતિ ના વડીલો ની મંજૂરી ,બીજી મુશ્કેલી કાર્યક્રમ માટેની જગ્યા માટે નાગર બૉર્ડિંગ ના રૅક્ટર ની મંજૂરી  મેળવવાની , આ બંને મંજૂરી માટે ઘણી બધી શરત નું પાલન કરવું પડે ,જેમાં પુરુષ અને સ્ત્રી કલાકાર સાથે હોય તેવો કોઈપણ કાર્યક્રમ રાખવો નહિ , તથા કાર્યક્રમ સૂર્યાસ્ત પહેલા પૂરો થઇ જવો જોઈએ ,તે મુખ્ય શરત રહેતી .આ પ્રકાર ની શરત સાથે પણ કાર્યક્રમ યોજવામાં આવતા , આવા કાર્યક્રમ ભર બપોરે સૂર્ય ના તડકામાં ખુલ્લી જગ્યામાં બેસીને  પણ  અમે ખુબજ ઉત્સાહ થી માણ્યા છે, ત્યારે એસી તો અસ્તિત્વ માં જ નહોતું પણ પંખાની વ્યવસ્થા પણ નહોતી. સ્ટેજ પર પણ કુદરતી પ્રકાશ જ મળતો લાઈટ અને સાઉન્ડ ની આધુનિક વ્યવસ્થા ની તો કલ્પના પણ નહોતી આમ છતાં  આજે પણ તે દિવસો ને અને તે કાર્યક્રમ ને યાદ કરીને હું રોમાંચ અનુભવું છું.
         અવેતન નાટક ના કલાકાર નો મિજાજ પણ જુદા પ્રકારનો હોય છે અને તેમાં પણ નાટક ના મહા મૂલ્યવાન સ્ત્રી કલાકાર નો મિજાજ તો ઓર જ હોય છે .કેટલી વિનવણી પછી કોઈ બહેન પાત્ર ભજવવા તૈયાર થયાં  હોય ,તેની કોઈ નબળાઈ જોવાની ન હોય , ભલે ને પછી એ કોઈ મૃત માનવી પાસે બેસીને, લલકારવા માંડે કે “શબ કો શન્મતી દે  ભગવાન--------- “ ,તો પણ ડિરેક્ટર થી કોઈ સુધારો સૂચવી ના શકાય .અને આવા  અશુદ્ધ ઉચ્ચાર છતાં તેનો જુસ્સો ,ગૌરવ એવા પ્રકારનું હોય કે , ભલભલા પુરુષ કલાકાર ને પણ વિચાર આવે કે – કાશી એ કરવત મૂકાવી ને –ભગવાન પાસે આવતા જન્મ માં એક રૂપકડો સ્ત્રી દેહ જ માગી લેવો જોઈએ ,પછી કોઈ પણ ક્ષેત્ર માં આગળ આવવા માટે આટલી બધી મહેનત તો ના કરવી પડે !!
         એકાદ અવેતન નાટકમાં બે કે ત્રણ મિનિટ નો નાનો રોલ ભજવ્યો હોય તેવી વ્યક્તિ ને વર્ષો પછી તે નાટક ની વાત કરતાં સાંભળવાની તક તમને ક્યારેય મળી છે ? ખરેખર આ એક માણવા જેવો લહાવો છે ,મને આવી તક એક વાર મળી છે , એકવાર ટ્રેન માં મુસાફરી દરમ્યાન આવા એક કલાકાર મારા  સહયાત્રી હતા , મારાથી ભૂલમાં નાટકની વાત નીકળી ગઈ ,પછી તો પૂછવું જ  શું? કલાકાર શરુ થઇ ગયા ,મને કહે ,ભાઈશાબ  ,શું વાત કહું ? આજે પણ એ પ્રસંગ યાદ આવે છે ,ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઇ જાય છે .વાત એમ હતી કે ,અમારી જ્ઞાતિ ના એક મેળાવડા  માં મેં કામ કરેલું, મારું પાત્ર એક રાજા ના ખાસ ડોક્ટર તરીકે નું હતું . નાટક સમયે હું સ્ટેજ પર ગયો, મહારાજા ના હાથ ની નાડ પકડી ને ,ઘડિયાળ જોવા માટે કોટ ની બાંય ઊંચી કરી તો ઘડિયાળ પહેરવાનું ભૂલાઈ ગયેલું ,મને તો પરસેવો થઇ ગયો ,અને ઉતાવળ માં  મેં  હેટ માથા  પરથી ઉતારી ને નીચે મૂકી ,અને એ ગંભીર દ્રશ્ય માં પણ ઓડીયન્સ માં હાસ્ય ફેલાઈ ગયું ,પહેલાં તો મને સમજાયું નહિ ,પણ તુરત યાદ આવ્યું કે ,હેટ  ઉતારીને મેં ગંભીર ભૂલ કરી છે ,કારણ તે અરસામાં જ મારા દાદા નું અવસાન થયેલ , તેથી રિવાજ મુજબ મારે માથાના વાળ ઉતરાવી ને ટકલુ કરાવવું પડેલ , આટલી વાત કરીને તે મહાશય પોતે હસવા લાગ્યા અને પછી ,પાછા ગંભીર થઇ ને કહેવા લાગ્યા ,એમ ના માનશો કે અમારું નાટક સાવ ફારસ થઇ ગયું , મેં તરતજ વાત વળી લીધી , અને કહ્યું – જુઓ મહારાજા ,આવા  ગરમી ના દિવસોમાં રોગને આમંત્રણ આપવાના બદલે ,જરાપણ શરમાયા વગર ,મારી જેમ વાળ ઉતારવી નાખો !! અને તમે માનશો ? મારા એ હાજર જવાબ થી ભલભલા કલાકાર મંત્રમુગ્ધ થઇ ગયેલ .આજે પણ નાટક ની વાત નીકળે ત્યારે અમારી જ્ઞાતિ ના લોકો મને યાદ કરે છે . તેમની વાત પૂરી થાય ,તે પહેલાં જ તેમની બાજુમાં બેઠેલ બીજા એક આવાજ કલાકાર શરુ થઈ ગયા , પેલા ભાઈને કહે કે ,  તમે તો ખાલી નાના  એવા રોલ માં થોડી બુદ્ધિ  દોડાવી, પણ હવે મારી વાત સાંભળો ,મેં તો ઘણા નાટક માં દિગ્દર્શન કર્યું છે ( અવેતન નાટક ની પરિભાષામાં એક થી શરુ કરીને કોઈપણ સંખ્યા ને માટે “ઘણા” શબ્દ નો ઉપયોગ કરી શકાય .) મને યાદ છે કે મારા એક નાટક (એક નું એક નાટક પણ હોઈ શકે!)માં તો કેટલાક લોકો માત્ર તોફાન કરવા આવેલા .નાટક એવું હિટ ગયું કે તોફાન કરવાનો મોકો ન મળ્યો ,પરંતુ એક કલાઇમેક્ષ દ્રશ્ય માં અભિનેત્રી એ ચીસ પાડવાની હતી , બરાબર એજ વખતે કોઈ તોફાની એ  સ્ટેજ પાસે ફટાકડો ફોડ્યો ! ત્યારે અભિનેત્રી સાથે કેટલાક પ્રેક્ષકો ની  પણ ચીસ નીકળી ગઈ ,થોડી વાર તો હું પણ હતપ્રભ થઇ ગયો ,પરંતુ તરતજ મેં મારી બુદ્ધિ દોડાવી અને થોડી વાર લાઈટ બંધ કરી અને સ્ટેજ પરથી એનાઉન્સ કરાવ્યુકે આ ફટાકડો દ્રશ્ય માં વાસ્તવિક્તા લાવવા માટે ફોડવામાં આવેલો , એ ફટાકડા ની અસર માટે છાપાં માં પણ વખાણ કરવા પડેલ .આ વાત સંભાળી ને અન્ય શ્રોતા  તો ઠીક પણ પેલા પ્રથમ  વાળા કલાકાર મિત્ર ગદગદ થઇ ગયા અને ખૂબ અહોભાવ થી વાત કરવા માંડ્યા .અને ત્યાર બાદ તે બન્ને વચ્ચે ની વિદ્વતા પૂર્ણ વાત સહન નહિ થવા થી બાકી ના સહયાત્રી ઊંઘવા માંડ્યા.
      અવેતન નાટ્ય કલાકાર ને માનસિક સંતોષ અને ગર્વ મળે તેવી પરિસ્થિતિ “આકાશવાણી” થી અસ્તિત્વ માં આવી તેમ કહી શકાય , સારો અને સ્પષ્ટ અવાજ ધરાવતા કલાકાર ને આકાશવાણી માં વેતન સાથે અભિનય કરવાની તક મળી ,જોકે અભિનય શબ્દ અહીં યોગ્ય નથી કારણ આકાશવાણી ના નાટક માં ફક્ત ધ્વનિ ના આંદોલન અગત્ય ના છે , કારણ રેડીઓ નાટક ફક્ત શ્રાવ્ય છે .અહીં મારો એક અનુભવ કહેવાનું મન થાય છે , આકાશવાણી  પર મેં પણ રેડીઓ નાટક માં પ્રવેશ કરવા માટે ઓડીસન આપેલ ,તેમાં જુદા જુદા પ્રકાર ની કસોટી ઉપરાંત નાટક નો સંવાદ બોલવા નો અને  સ્પષ્ટ ઉચ્ચારણ માટે  હળ્યાં મળ્યાં , બળબળતા બપોરે જેવા શબ્દો બોલવાના  અને જો “ “ળ” નો ઉચ્ચાર “ર” કે “ડ” કર્યો તો તમે નાપાસ ,ઈશ્વર કૃપા થી હું ઓડીસન માં સફળ થયો અને એક નાટક માં મને આમંત્રણ પણ મળ્યું , નાટકનું  રાષ્ટ્રીય કક્ષા એ પ્રસારણ થવાનું હતું. હું રેડીઓ સ્ટેશન પહોંચી ગયો , નાટ્ય વિભાગ નું સંચાલન કરતા દિગ્દર્શક શ્રી ,મને કહે ભાઈ મૌલેશ તમારો અવાજ મને ગમ્યો છે એટલે તમને એક અગત્ય નું પાત્ર આપવાનું વિચાર્યું છે ,હું એકદમ ખુશ થયો. થોડા સમય બાદ રિહર્સલ શરુ થઇ, મેં મારા પાત્ર નો વાર્તાલાપ વાંચ્યો ,પણ શબ્દો ના ઉચ્ચારણ માં જરૂરી ભાવ કે કંપન આવ્યાં નહીં , ઘણીવાર પુનરાવર્તન કર્યા પછી પણ હું મારા અવાજ માં જરૂરી કંપન લાવી શક્યો નહિ આથી અમારા દિગ્દર્શક નારાજ થઇ ગયા, અગત્ય નું પાત્ર બદલાવીને મને થોડું નાનું પાત્ર આપવાનું વિચાર્યું ,પરંતુ કોઈ પણ પાત્ર ને અનુરૂપ હું અવાજ માં સ્પંદન લાવી શક્યો નહિ , એટલે છેવટે એકાદ દ્રશ્ય માં નેપથ્ય માં બે ચાર વ્યક્તિ વાત કરતી હોય તેવા પાત્ર માં મારે ભાગે – અહોહો ભારે કરી!! એવા કંઇક  શબ્દ બોલવા નું આવ્યું – અને જ્યારે નાટક નું પ્રસારણ થયું ત્યારે પાત્ર ના પરિચય માં મારે માટે કહેવામાં આવ્યું કે  --- એક અવાજ – મૌલેશ મારૂ. અગત્ય ના પાત્ર માંથી એક અવાજ સુધી નીચે પડવા થી  મને મનના ઊંડા ખૂણામાં થોડું દુઃખ જરૂર થયેલ, પરંતુ નાટક માં ભાગ લેવા માટે આકાશવાણી તરફ થી પુરસ્કાર  મળ્યો ત્યારે મને અત્યંત આનંદ થયેલ – એ અનુભવ પછી મેં આકાશવાણી જ નહીં પરંતુ કોઈ પણ પ્રકાર ના નાટક માં ભાગ લેવાની હિંમત કરી નથી .
        આવા પ્રસંગો જે તે સમયે તો મન ને આહલાદક અનુભવ આપીને સ્ફૂર્તિ માં  લાવી દે છે ,ઉપરાંત જીવન ને પણ આનંદમય બનાવી દે છે  એ આપણા સહુ નો અનુભવ છે , પરંતુ વૃદ્ધાવસ્થા માં આવા પ્રસંગો ને વાગોળી ને મન એટલો આનંદ અનુભવે છે કે જીવન સંધ્યા પણ ખીલી ઊઠે છે ,અને આવા સમયે આપણને ખ્યાલ આવે છે કે સ્ટેજ  પર કરેલ નાટકો તો ગૌણ છે ,હકીકત માં આપણે જન્મ્યાં ત્યારથી આપણી આસપાસ ના લોકો સાથે આપણે તેમની સાથે ના સંબંધ મુજબ નાટક ના પાત્ર ની જેમ અભિનય જ  કર્યો છે ને? અને ત્યારે જ આપણને પણ સેક્સ્પીયર  ના  “ AS YOU LIKE IT” માં   કહેલ શબ્દો યાદ આવી જાય છે કે “આ દુનિયા એક રંગ મંચ છે ,અને સ્ત્રી તથા પુરુષ તેના પર અભિનય કરતાં પાત્ર છે “ આપણા જીવનભર નું કાર્ય દુનીઆના રંગમંચ પર ના આપણા અભિનય થી વિશેષ કંઇ જ  નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે અભિનય થી વિશેષ કંઇ જ નથી એવી અનુભૂતિ જો એકવાર થઇ જાય તો જીવન માં સુખદુઃખ ની લાગણી ગૌણ થઇ જાય.ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં અધ્યાય ૨ માં, સ્થિર બુદ્ધિ એટલે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ના લક્ષણ નું વર્ણન કર્યું છે , જેમાં એક શ્લોક  માં જણાવ્યા મુજબ ,
      दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः
     वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते- ५६

ઉપરોક્ત ગીતા ઉપદેશ ના સંદર્ભ માં જ્યારે કોઈપણ વ્યક્તિ નો સામનો કરવામાં આવે ત્યારે રંગમંચ ના સંદર્ભ માં વ્યક્તિ નું વર્તન તેને સોંપવામાં આવેલ પાત્ર મુજબ નું છે અને તમારી પ્રતિક્રિયા તમારા પાત્ર મુજબ ની છે , વ્યક્તિ નું વર્તન એ અભિનય અને વાર્તાલાપ કોઈક ની લખેલી સ્ક્રીપ્ટ છે એ અનુભૂતિ જો થાય તો મને લાગે છે કે સુખ - દુઃખ , જય- પરાજય, લાભ – ગેરલાભ વગેરે દ્વંદ્વ થી પર થઇ ને, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ દર્શાવેલ “ સ્થિતપ્રજ્ઞ” ની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.
     ------------------------- X ------------------------  


Thursday, 12 June 2014

હવે - - - હું પણ હાસ્ય લેખક !!??

                             હવે- - -હું પણ હાસ્ય લેખક !!??
                                                   લેખક ડૉ.મૌલેશ મારૂ
              ગુજરાતી ના વિદ્વાન હાસ્ય લેખકો ના સાહિત્ય નો અભ્યાસ કર્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટે લેખ લખવા ઉપરાંત બીજી પણ કેટલીક જરૂરિયાત છે, જેમાં એક અગત્ય ની બાબત શારીરિક દેખાવ  જે સામાન્ય કરતાં થોડો વિચિત્ર હોવો જોઈએ અને એ વિષય પર એક લેખ હોવો જરૂરી છે , અલબત્ત તમારી શારીરિક નબળાઈ છતાં તમે બુદ્ધિપૂર્વક સબળ વ્યક્તિ ને કેવી રીતે હંફાવી દીધો તેવો એકાદ લેખ પણ ચોક્કસ લખી શકાય , સ્વ.જ્યોતીન્દ્રભાઈ દવે નો લેખ “મારી વ્યાયામ સાધના” આ વાત નું સચોટ ઉદાહરણ છે ,તેમાં તેમણે કુસ્તી શીખવતા ઉસ્તાદ ને હંફાવી ને કહ્યું છે કે “તું શરીર ના દાવપેચ જાણે  છે તો હું બુદ્ધિ ના દાવપેચ જાણું છું” તે દર્શાવે છે કે સશક્ત શરીર પર જ્યારે બુદ્ધિ હાવી થઇ જાય છે ત્યારે હાસ્યરસ ઉદભવી શકે છે. તમને થયેલો એકાદ રોગ અને તેમાં તમને ડોક્ટર સિવાય અન્ય લોકોએ આપેલી સલાહ અને સૂચવેલ દવા થી તમારી સ્થિતિ કેવી હાસ્યાસ્પદ અને દયનીય  થઇ તે પણ એક અગત્ય નો જ  નહીં પણ ફરજિયાત વિષય પણ છે , તેના પર એક લેખ લખવો જ જોઈએ. જોકે એક ભયસ્થાન પણ યાદ રાખવા જેવું છે ,તમને સમાજ  એક વાર  હાસ્ય લેખક તરીકે સ્વીકારી લે ત્યાર પછી તમે કદાચ તમારા અનુભવ પરથી કોઈ રોગ ની સચોટ દવા લોકોને બતાવો તો તેને પણ લોકો કદાચ ગંભીરતા થી ન જોતાં તમને પૂછે કે આ હાસ્ય લેખ તો નથી ને ? અને તમારે એ ઘટના પર પણ એક લેખ  લખવો પડે અને સ્પષ્ટતા પણ કરવી પડે કે આ તો હાસ્ય લેખ જ છે!! ટૂંકમાં  આ પ્રકાર ના અભ્યાસ પરથી મેં પણ નક્કી કર્યું કે મારે આ પ્રકાર નો એક લેખ જરૂર લખવો . નાના નાના રોગો કે જેમાં મોટા હાસ્યકારો ને ઘરગથ્થુ દવા ના ઘણા સલાહ સૂચન મળ્યાં હોય તેવા રોગો માં મારા મિત્રો અને સંબંધી ઓ, કોઈપણ સંજોગોમાં ઘરગથ્થુ દવા ના કરતાં ડોક્ટરની દવા લેવા નું સૂચન કરે છે , ત્યારે હું એકદમ દુઃખી થઇ જાઉં છું  , એમ લાગે છે કે  હાસ્ય લેખક થવા ની એક તક ગુમાવી રહ્યો છું. તેમાં મને ઓચિંતા ની એક તક મળી ગઈ , મારા તબીબી સારવાર અંગે નો વીમો ઉતારવા માટે લોહી નું પરીક્ષણ કરતાં ,ડાયાબિટીસ ની અસર જોવા મળી , અને મને હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટે ,જરૂરી વિષય મળી ગયો. ડાયાબિટીસ એવું દર્દ છે કે તેનું નિદાન ચોક્કસ રીતે થઈ શકે છે ,પરંતુ તે સમ્પૂર્ણ મટી જાય તેવો ઉકેલ કોઈપણ તબીબી શાખા માં નથી એમ હું માનું છું. અને એટલે તેમાં વ્યક્તિગત પ્રયોગ અને સલાહસૂચન નો બહોળો અવકાશ છે .
        ડાયાબિટીસ ! ! ! ? ?  નો વિચાર કરતાં જ મને  ગાલિબ  ની પંક્તિ યાદ આવી જાય છે ,
                                 इस सादगी पे कौन न मर जाए ऐ ख़ुदा
                                लड़ते हैं और हाथ में तलवार भी नहीं |
ડાયાબિટીસ તમારી સાથે લડે પણ તેમાં કોઈ જગ્યાએ કડવાશ નહિ મીઠાશ અને ફક્ત મીઠાશ તમારા લોહી ના દરેક બુંદ માં મીઠાશ ભરી દે પણ તમને મીઠી વસ્તુ ને હાથ પણ ના અડાડવા દે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે . વારસાગત રીતે પણ ડાયાબિટીસ થઇ શકે છે મને મારા પિતૃપક્ષ તથા મોસાળ પક્ષ માંથી આવા ઘણા વારસા મળેલ છે જેવા કે  સ્થૂળતા , વાયુ , હરસ વગેરે પણ મને લાગે છે કેયાબિટીસ મને કદાચ મોસાળ પક્ષ નો વારસો પણ હોય ! મને થોડું થોડું યાદ છે ત્યાં સુધી મારા નાના બાપુ ને ડાયાબિટીસ હતો , તેમની એક વાત પરથી મને ડાયાબિટીસ નો માનસિક વારસો મળ્યો ,તેઓ એક રાજ્ય ના કારભારી હતા ( આપણો દેશ સ્વતંત્ર થયો તે પહેલાં ) , તેમના રાજા(બાપુ)નો એક રમૂજી પ્રસંગ તેઓ અવારનવાર વર્ણવતા , બાપુને  ને ડાયાબિટીસ થયો ,એ જમાના માં ડાયાબિટીસ ને  આયુર્વેદ મુજબ મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવતો  અને લોકભોગ્ય ભાષામાં મીઠીપેશાબ તરીકે ઓળખાતો . રાજાજી ને  ખાવા માં શું આપવું તેની યાદી વૈદ્યે મારા નાનાજી ને આપી અને તેમણે  સીધી રસોયા ને આપી દીધી . ડાયાબિટીસ ને લગતું ભોજન થાળી માં આવ્યું કે તરતજ બાપુ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો ,બૂમાબૂમ કરવા લાગ્યા. તેમને શાંત પાડી ને મારા નાના બાપુ એ તેમને  સમજાવ્યું કે વૈદરાજ કહે છે કે ,આપને  મીઠીપેશાબ નો રોગ છે એટલે આવું જ ભોજન લઇ શકાય .બાપુ કહે એટલે મને શું થયું છે ? નાના બાપુ કહે વૈદ ના કહેવા મુજબ  આપના પેશાબ માંથી ખાંડ  બહાર નીકળે છે . રાજાજી કહે એ વૈદ ને કેવી રીતે ખબર પડી? એણે  ચાખ્યો છે?   રાજા ,વાજાં ને વાંદરા ને કોણ સમજાવી શકે? પણ આ વાત થી ડાયાબિટીસ નામના રોગ ના નામ નો વારસો મને મારી બાલ્યાવસ્થા  દરમ્યાન મળ્યો .
            મારા આશ્ચર્ય વચ્ચે મને જાણવા મળ્યું કે મને ડાયાબિટીસ છે ત્યારે સામાન્ય રીતે મનુષ્ય સહજ સ્વભાવ મુજબ હું પણ મને ડાયાબિટીસ હોય તેમ માનવા ને તૈયાર નહોતો, અને  આજ પણ હું માંનું કે ,મને ડાયાબિટીસ હોય જ નહીં , લેબોરેટરી ના સાધન માં જ  ખામી છે. મારા ડાયાબિટીસ ની વાત જાણતા જ મારાં શ્રીમતી નું ફોન નું નેટવર્ક ચાલુ થઇ ગયું , તેની બહેનપણી ઓ સાથે ની ફોન ની વાતચીત થી મને સમજાયું નહીં કે ,મને ડાયાબિટીસ નીકળ્યું તેનું તેને દુઃખ છે કે પછી ગર્વ છે , તમે જરૂર પૂછશો કે કે મેં એવું કેમ વિચાર્યું ? એની એક મિત્ર સાથે એ વાત કરતી હતી કે , તું કહેતી હતી ને કે અમારા ઘર નો ફૂડ એકદમ રીચ છે , તે વાત સાચી હો , મારા મિસ્ટર ને ડાયાબિટીસ નીકળ્યું ,મને લાગે છે કે અમારા રીચ ખોરાક ની જ  અસર ! ! મને તો બળ્યું ,ઓછા તેલ માં દાળ – શાક કરવા નું ફાવતું જ નથી , લાગે છે કે ઓલી ચંપાડી પાસે શીખવા જવું પડશે ! એમ કહીને બન્ને મિત્રો ખૂબ  જોરથી વ્યંગ ભર્યું હસવા લાગ્યાં ! પછી ફરીથી વાતચીત શરુ , હેં – તારી વાત સાચી ,હવે ઘરમાં મિષ્ટાન્ન  બનાવવામાં થોડી તકલીફ જરૂર થઇ જવાની ,પરંતુ તેમનાથી ગળ્યું ન ખવાય એટલે મારે થોડું ,ખાવાનું બંધ કરી દેવાય ,અને આ જમાના માં હવે કોઈ ગાંધારી બનીને આંખે પાટાઓ ન બાંધી રાખે અને પછી હસતા હસતાં  મશ્કરી ના ટોન માં કહે ,હા એટલું ચોક્કસ કરી શકાય કે , મિષ્ટાન્ન  બનાવ્યું હોય ત્યારે તેઓની આંખે પાટા બાંધી દેવાના ,એટલે દેખવુંય નહીં અને દાઝવુંય નહીં એમ કહીને વળી પાછું જોરદાર હાસ્ય. શ્રીમતી જી ની ફોન પરની વાતચીત થી મને એક વાત યાદ આવી ગઈ , હું નાનો હતો ત્યારે  ગરીબ માણસો ના સંદર્ભ માં પેટે પાટા બાંધવાની વાત પહેલી વખત સંભાળી ત્યારે બાળક સહજ દુઃખ થયેલું પરંતુ હળવે  હળવે ઉમર થતાં એ વાત થી હું ટેવાઈ ગયો અને ઘણીવાર મશ્કરી માં કહેતો પણ ખરો કે, તહેવાર માં ગળ્યું ખાવા ના મળે ત્યારે પેટ પર રંગીન પાટા  બાંધવા જોઈએ . ડાયાબિટીસ થી મારે પેટ પર તો નહિ પણ આંખે પાટા બાંધવા નો વિચાર તો જરૂર કરવો પડ્યો !
             વાસ્તવિક રીતે ડાયાબિટીસ ને લીધે જ્યારે મારે ખાવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો ત્યારે ખરેખર ઘણી વખત મને  નાના  છોકરાં ની જેમ રડવા નું મન થઇ જાય છે .વાસ્તવ માં સવાર થી મારી દિનચર્યા શરુ થાય તે સાથે જ મારાં કુટુંબીજનો , આપ્તજન અને હિતશત્રુ ઓ મારા પર જાસૂસી શરુ કરીદે છે . હું છાના માના, ખાનગી માં કંઈ ખાઈ લેતો નથીને તેનો બધા ખ્યાલ રાખે છે. મારા માટે જ નહીં પરંતુ ડાયાબિટીસ ની ઝપટ માં આવી ગયેલ દરેક વ્યક્તિ ની મુશ્કેલી સવાર થી ચાલુ થઇ જાય છે , સવાર ની ચા મોળી અથવા સ્યુગરફ્રી વાળી , સવારે નાસ્તા માં પણ ખાવા જેવી કે ભાવતી કોઈ વસ્તુ નહીં લેવાની ,બન્ને વખત ભોજન માં પણ ઘાસ પાન જ લેવાનાં . મિષ્ટાન્ન  , ફરસાણ ,બટેટા , ભાત વગેરે ની તો સામે પણ નહિ જોવાનું ,અરે મીઠાશ ની બંધી તો એટલી કડક કે , મેં મારા શ્રીમતી ને પણ  સૂચના આપી દીધી છે કે  તમારે મારી સામે મીઠાશ થી જોવું પણ નહીં , કારણ તમારી દ્રષ્ટિ ની મીઠાશ કદાચ મારા સ્યુગર લેવલ માં વધારો કરીદે !! ઘણી વખત મને વિચાર આવે છે કે  ઘણા બાળકો જન્મે ત્યારે તેમને પૂર્વજન્મ ની વાતો યાદ હોય છે , મને પણ  મારા નવા જન્મ માં આ જન્મ ની યાદ રહેલી હશે તો? તો એવું પણ  બને કે મારા માટે   ગળસોદી”(નવજાત શિશુ ને અપાતું ગોળ અને મધ નું પાણી) ,તૈયાર થતી જોઇને મને ગળ્યું પીવા મળશે તે જાણી ને ,હું હર્ષ માં આવીને રડી પડીશ ,ત્યારે મને રડતો જોઇને મારા નવા જન્મ ના વડીલો મને ગળ્યું ખાવાની જન્મથી જ ઍલર્જી છે તેમ માની ને ,બીજું કોઈ પીણું આપશે તો?
             ડાયાબિટીસ સામાન્ય રીતે આળસુ , નવરા , ધનવાન , વિદ્વાન  માં વધારે જોવા મળે છે એવું મારૂ માનવું છે  . અને આમાં ના મોટાભાગના ના છટકબારી ગોતવામાં પણ ઉસ્તાદ હોય છે . મોટી કંપની માં ચીફ મેનેજર રહીચૂકેલા મારા એક સંબંધી માને છે કે  ખાંડખાવાની ડોક્ટર ના પાડે છે , એટલે ગોળખાવા માં વાંધો નહીં . એવી જ રીતે મારા ઘણા વિદ્વાન મિત્રો માને છે કે ડાયાબિટીસ માટે ગ્લુકોઝજવાબદાર છે , અને મોટા ભાગ ના ફળો માં  ફ્રૂક્ટોઝ નું પ્રમાણ વધારે હોય છે ,એટલે કોઈ પણ ફળ ગમે તે પ્રમાણ માં ખાવા માં  વાંધો નહિ. આવા પ્રકાર ની અસંખ્ય છટકબારી અસ્તિત્વ માં છે , જોકે મેડિકલ સાયંસ આ બધા સાથે સંમત નથી તે એક અલગ વાત છે . અને બીજી અગત્ય ની વાત  ડાયાબિટીસ ના દર્દી ના સગાંસંબંધી અને આસપાસ ના લોકો પણ એટલાજ બુદ્ધિશાળી હોય છે ,એટલે આવી મનમાની કરવા ન દે તે પણ સત્ય હકીકત છે , મારી વાત કરું તો મારા શ્રીમતી , બાળકો અને મારી સાથે સંકળાયેલા અન્ય લોકો મારા ખાવા માં એટલું બધું બંધન રાખે છે કે ઘણી વખત તો હું તેમને કહું છું કે ,આવો ખોટો જમવા નો ડોળ  કરવા કરતાં , સવાર ના પહોર માં મને ગાય અને ભેંસ ના ધણ ની સાથે ચરવા મોકલીદ્યો  ,એટલે કોઈ ચિંતા જ નહીં , મારા પત્ની આ બાબત સાથે અસહમત છે ,તેઓ કહે છે કે ગાય અને ભેંસ ની સાથે તમે ચરવા જાવ ત્યાં કોઈ પ્રકાર નું ગળ્યું ઘાસ નહિ ગોતી લ્યો તેની શી ખાતરી ?
          ડાયાબિટીસ ની એક મજા ની વાત એ છે કે ,મોટા ભાગ ના લોકો ની માન્યતા છે કે એલોપેથીમાં ડાયાબિટીસ માપવા માટે યોગ્ય સાધન છે ,પરંતુ તેને જડ મૂળ થી મટાડવા ની યોગ્ય દવા તેની પાસે નથી ,એલોપેથીક દવાથી ડાયાબિટીસ ને ખાલી કાબુમાં રાખી શકાય છે , તેને સંપૂર્ણપણે મટાડવા માટે આયુર્વેદ અથવા હોમિયોપથી પાસે ચોક્કસ દવા છે , આ વિવાદ અંત વિહીન છે એટલે તેના પર આપણે ચર્ચા નહીં કરીએ. પરંતુ મારો એક અનુભવ જરૂર કહીશ કે મારી આસપાસ ના ઘણા લોકો પાસે ડાયાબિટીસ ની આયુર્વેદિક  દવા છે . મને ઘણા મિત્રોએ જુદી જુદી દવા બતાવી છે . જેમાં મેથી , મામેજવો ,જાંબુના ઠળિયા,  વગેરે અસંખ્ય વસ્તુ આવી જાય છે ,મારા એક મિત્ર તો આવી ૧૧ જડીબુટ્ટી નું મિશ્રણ કરીને ,નરણે કોઠે (સવાર ના ઊઠીને તરતજ) તેનું સેવન કરે છે . એક મિત્ર એ એક નવો નુસખો બતાવ્યો , તેમણે  કહ્યું કે ચોક્કસ પ્રકાર ના નળિયા મળે છે ,તે લઇ ને રોજ નળિયાને પગ ના તળિયામાં રોજ ઘસવાનું રાખો, એ પ્રયોગ મને વ્યાજબી ન લાગ્યો કારણ દરેક સ્થળે નળિયું સાથે રાખવા થી ઘણી ગેરસમજૂતી થવાનો સંભવ રહે છે . પણ બીજા આ પ્રકારના પ્રયોગ ચોક્કસ કરેલ છે , પરંતુ પરિણામ શૂન્ય . આયુર્વેદ દવા નો પ્રયોગ મેં પૂરો કર્યો ત્યાં એક મિત્ર મળ્યા ,મારી કથની સાંભળી ,એકદમ ગંભીર મુખમુદ્રા કરી અને મને કહે તમે દવા પડતી મૂકો અને “યોગા “ કરો . મને તેઓ યોગા ના વર્ગ માં લઇ ગયા ,ડાયાબિટીસ ના દર્દ કરતા પણ સવારે વહેલા ઊઠી અર્ધી ઊંઘ માં યોગા એ મને ઘણી માનસિક તકલીફ આપી . મને પહેલી વખત સમજાયું કે યોગા ના પણ બે પ્રકાર છે એક તો શરીર ના અંગો ને ન સમજી શકાય એવી મુદ્રા માં આડી અવળી રીતે ગોઠવવા જેને યોગાસન કહેવાય , અમુક પ્રકાર ના આસન મા મને મારી મૂળ સ્થિતિ માં પાછું આવી  શકાશે કે નહિ તેની ચિંતા રહેતી . આસનો પૂરાં થાય ત્યાં જુદી જુદી રીતે શ્વાસ લેવા મૂકવા ની પ્રક્રિયા શરુ થાય ,જેને પ્રાણાયામ કહેવાય ,અને બહુ સહેલા દેખાતા પ્રાણાયામ થી પણ  હું મારા ગુરુ ને ક્યારેય સંતોષ ન આપી શક્યો. દિવસો સુધી કપાલભાટી પ્રાણાયામ કર્યો પણ ડાયાબિટીસ કાબુ માં ન આવ્યું ગુરુ ને આનું  કારણ પૂછ્યું તો તેમણે  કહ્યું કે તમે પ્રાણાયામ યોગ્ય રીતે કરતા નથી ,પછી કેવી રીતે મટે?!!!! ગુરુજીના આ અભિપ્રાય થી મને અત્યંત દુઃખ થયું ,કારણ કે હું સવાર ના ચાલવા જાઉં ત્યારે બગીચામાં કેટલાય લોકો નાક પકડીને કે પેટ અંદર બહાર કરીને પ્રાણાયામ(!!) કરતા હોય છે એટલે મને તો એમ જ હતું કે પ્રાણાયામ બહુ સરળ છે ,પરંતુ તેનો અનુભવ કાર્ય પછી મને લાગ્યું કે મારી શારીરિક કે માનસિક સ્થિતિ યોગા ને અનુકૂળ નથી . થોડા દિવસ પહેલાં બગીચામાં નવી ઓળખાણ થયેલ તેવા એક મિત્ર કહે કે તમે બીજું કશું ન કરો ફક્ત નિયમિત ચાલવાનું રાખો તો પણ ફાયદો થશે .મેં તેમને પૂછ્યું કે તમારો જન્મ કઈ સાલમાં થયો ? તેઓ કહે ૧૯૬૦માં , મેં તેમને કહ્યું ,કે તમારા જન્મ પહેલાં એટલે કે ૧૯૫૮ થી હું નિયમિત ચાલવા નીકળું છું ! બોલો હવે તમારી શું સલાહ છે ? તેઓ એ જવાબ ન આપતાકેટલાક યુવાન અને આધેડ ભાઈ બહેનો ની  માન્યતા – બાળક કે વૃદ્ધ વ્યક્તિ ને સલાહ આપવાના તેમના અધિકાર પર મેં હુમલો કર્યો હોય ,તેવી મુખમુદ્રા કરીને ચાલવા માંડ્યા .
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે તે મુજબ ,
                                      कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
                                     मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥४७॥

આપણે કાર્ય કરવાનું – ફળ ની આશા વગર અને કાર્ય છોડવું  પણ નહિ . કોઈક વાર મને લાગે છે કે ફળ ની આશા વગર કાર્ય ચાલુ જ રાખવું તે કદાચ ડાયાબિટીસ ના સંદર્ભમાં તો નહીં કહ્યું હોય ને ?

 જોકે આ લેખ લખવા નું કર્મ મેં ,હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટેની આચારસંહિતા ના ભાગ સ્વરૂપે લખેલ છે તેથી મનવાંછિત ફળ જરૂર મળશે તેવી શ્રદ્ધા છે અને હું પણ ગર્વ પૂર્વક જરૂર કહી શકીશ કે , હવે - - - હું પણ હાસ્ય લેખક !!

                 ------------------------------ X ------------------------------

                      

Tuesday, 1 April 2014

ફૂલ (FOOL) નહીં ને ફૂલ ( FOOL) ની પાંખડી

                  ફૂલ( Fool) નહીં ને ફૂલ (Fool) ની પાંખડી
                                                                   લેખક- ડૉ.મૌલેશ મારૂ
                                                                                                                 
સવાલ નથી કે બજેટ  ફેબ્રુઆરી ના અંતિમ દિવસે કેમ બહાર પડે છે ? પરંતુ સવાલ છે કેમૂર્ખદિનબજેટ પછી એક મહિના બાદ કેમ  આવે છે ? ભારત ની પ્રજા એટલી બધી મૂર્ખ છે કે તેને એક મહિના બાદ ખબર પડે કે આમાં તો મૂર્ખ બન્યા ! કરવેરા તો આપણે ભર્યા કરીશું અને પેટ્રોલ ,ડીઝલ ,ગેસ ,કેરોસીન અને આવી ઘણી બધી વસ્તુ માં ભાવ વધારો પણ ભરીશું અને તે પણ હસતા મોઢે ! જોકે અહીં એક સૂચન કરવાનું મન થાય છે , મેં ક્યાંક સાંભળ્યું છે કે બંસરી ના મહાન કલાકાર પન્નાલાલ ઘોષ ની બંસરી ના છિદ્ર એટલાં દૂર દૂર  હતાં કે આંગળીઓ ને વ્યવસ્થિત ગોઠવવા માટે તેમણે બે આંગળી વચ્ચેના સાંધા માં ઓપરેશન કરાવી અને જગ્યા વધારેલ . બજેટ પછી હોઠ પર હાસ્ય ટકાવી રાખવા આપણે પણ હોઠ ના સાંધા માં ઓપરેશન કરાવી નાખવું જોઈએ અને મને ખાતરી છે કે ભારત સરકાર આવા ઓપરેશન માટે સબસિડી પણ જરૂર આપશે ., અલગ વાત છે કે આવી સબસિડી માટે આધા કાર્ડ ઉપરાંત બીજું પણ કોઈ કાર્ડ કઢાવવું પડે ! આમેય આપણે સરકાર શ્રી ના ગમે તે પ્રકાર ના આદેશો નું પાલન કરવા ટેવાઈ ગયા છીએ ! ટૂંક માં ગમે તે પ્રકારના બજેટ ને આપણે સ્વીકારી શું? બહુ તો થોડી રાડારાડ કરીશું અને રેલી કાઢીશું,આવું બજેટ બહાર પડવાની ઇચ્છા વાળા કોઈ નેતા ની વાત માં આવી જઈને તેને આંદોલન માં મદદ પણ કરીશું ! ત્યાં માર્ચ મહિનો પૂરો થશે -એપ્રિલ આવશે એટલે બધી તરફ થી મૂર્ખાઈ નો એહસાસ થશે , તેમાં હોળી ધુળેટી પણ રંગ પૂરશે , આપણે નવા બજેટ અને ભાવ વધારાથી ટેવાઈ જઈ શું , નવી ચૂંટણી ની રાહ જોઈશું અને વળી પાછું નવી ઘોડી નવો દાવ “ !!
એક રીતે જોઈએ તો અંગ્રેજ ની ઘણી મૌલિક શોધ ની જેમ  મૂર્ખદિન પણ મૌલિક શોધ છે. કારણ મૂર્ખ બનવું , બનાવવું  મૂર્ખાઈ નું પ્રદર્શન કરવું એક કુદરતી વૃત્તિ છે અને એટલે વર્ષ નો એક દિવસ કામ માટે નક્કી કરવો બહુ ડહાપણ ભરેલી વાત છે .
કોઈ વ્યક્તિ ની બનાવટ કરવી તેને મૂર્ખ બનાવ્યો કહેવાય ? એપ્રિલફૂલ નો અર્થ આથી વિશેષ હોય તેમ લાગતું નથી . અમારે ત્યાં ભોજન માટે પધારો એવું આમંત્રણ આપીને, ખરે સમયે યજમાન ઘેર હોય તો મહેમાન એપ્રિલફૂલ બન્યા કહેવાય. વ્યવહાર રોજ ના ક્રમ કરતાં ઊંધો થયો કહેવાય, કારણ સામાન્ય દિવસો માં ભોજન નું આમંત્રણ આપી ને યજમાન બહાર ચાલ્યા જાયતો પોતે મૂર્ખ માં ખપે. મને યાદ છે કે નાનપણ માં અમે આવા પ્રકારની બનાવટ જુદી રીતે કરતા , પણ મૂર્ખ કહેવાને બદલે અમે તેમના પર લકડ પકડીઓ દાવ ચડાવતા. કોઈ મિત્ર ને ઓચિંતાં નું કહી કે જો તારા માથા માં પીછું ખરેખર બનાવટ હોય એટલે જેવો તેનો હાથ માથા માં જાય કે તરતજ અમે બૂમ પાડી લકડ પકડીઓ દાવ અને મારી મીલ્લા મીલ્લા નો અર્થ તો બધા જાણતાજ હશે ,કે હમણાં તે આરામ માં છે ,એટલે મીલ્લા છોડે પછી રમત શરુ થાય . પ્રકાર ની રમત કે મશ્કરી એપ્રિલફૂલ નો એક પ્રકાર છે . પ્રકાર માં મૂર્ખ બનાવનાર ને માનસિક સંતોષ થાય છે , આવી રીતે મૂર્ખ બનાવી ને સામી વ્યક્તિ પરનો આપણો ગુસ્સો પણ શાંત પડી શકાય. મને યાદ છે કે મારા એક મુરબ્બી મિત્ર સૌરાષ્ટ્ર રાજ્ય ના સમય માં સચિવાલય માં નોકરી કરતા , તેઓ પોતે ખૂબ હોશિયાર , તેમના સાહેબો કરતા પણ કાયદાનું તથા અન્ય ઓફિસ ના કાર્ય નું તેમનું જ્ઞાન પણ વધુ અને છતાં તેમના સાહેબ કહે  તેમ કરવું પડે , આથી મનમાં ખૂબ ગુસ્સો આવે ,ઓફિસ માં તો કઈ બોલે નહિ પણ ઘેર આવીને મારી સાથે ચર્ચા કરે ,હું તેમને પૂછું કે હવે તમે શું કરશો ? તો કહે હમણાં તો કઈ નહિ કરું પણ નિવૃત્ત થવાના દિવસે સાહેબ ની ચૅમ્બર માં જઈ અને થોડી વાર તેમના કાન સામે રહીશ ,અને પછી તેમને કહીશ કે સાહેબ ! તમારા જોઈ કાન પર જીવડું ચોટ્યું છે , તેઓ તેમના કાન ને અડે કે તરતજ મોટે થી બૂમ પાડીશ કે એપ્રિલફૂલ ! ટૂંકમાં પ્રકાર ની નિર્દોષ મશ્કરી  ઘણા સંજોગોમાં જીવન જીવવા માટેનું બળ પૂરું પાડી શકે છે ,અને મન ને હળવું ફૂલ બનાવી દે છે .
નિર્દોષ મશ્કરી નો શું અર્થ થાય ? દરેક વસ્તુ ના અર્થ કરવાની કે સમજવા ની જરૂર નહિ ,થોડું સ્વીકારતા પણ શીખવું જોઈએ ! દૈનિકપત્ર માં ઘણી વખત લગ્ન વિષયક જાહેરાત માં જોવા મળે છે કે ,પરણવા ઇચ્છુક વ્યક્તિ નિર્દોષ છૂટાછેડા લીધેલ છે ! અહીં નિર્દોષ  છૂટાછેડા એટલે શું ? તે મને ક્યારેય સમજાયું નથી . મિત્રો ને પૂછતાં તેઓ પણ ગલ્લા તલ્લા કરે છે .ટૂંક માં નિર્દોષ મશ્કરી લેખક  ની લખવાની સ્વતંત્રતા નો ભોગ બનેલ શબ્દ છે તેમ માની ને આગળ વધીએ . અહીં પ્રશ્ન  થાય કે લેખક કહ્યા એટલે ,બધા અધિકાર પ્રાપ્ત થઇ ગયા ? મૂર્ખાઈ ના પ્રકાર પાડી દેવાના ? તો પછી મૂર્ખાઈ ને રંગ પણ આપીદ્યો ને ? રંગ પરથી હોળી યાદ આવે  મૂર્ખાઈ ની રંગીનતા એટલે હોળી ! હોળી ને દિવસે ગમે તેના પર રંગ છાંટી ને કે ગમે તે પ્રકાર ની મશ્કરી કરીને ,” હોલી હૈ એમ કહી દેવાનું એટલે પત્યું . જોકે આપણે તોબે બસ “ (બેબસ!) ાં  માનનારા રહ્યા એટલે હોળી અને તેમાં કોઈ કસર હોય તો તે પૂરી કરવા ધુળેટી પણ ખરી .
આપણને ગમે કે ના ગમે પરંતુ મૂર્ખાઈનો અર્થ તો કરવો જોઈએ ભલે ને મૂર્ખ માં ખપીએ !જોકે અર્થ નો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે મૂર્ખાઈ સાપેક્ષ છે એક ની એક વાત એક વ્યક્તિ ને ડહાપણ ભરેલી લાગતી હોય તેજ વાત બીજાને મૂર્ખાઈ ભરેલી પણ લાગે ઉદાહરણ તરીકે મારું લગ્ન જીવન મારા માટે બહુ ઉમદા છે પરંતુ એક  વખત મારી પત્ની ને પૂછ્યું કે : તું મને શા માટે પ્રેમ કરે છે? તો જવાબ મળ્યો કે : હું મૂર્ખ છું એટલે . તેના જવાબ થી ગુસ્સામાં આવી મેં તેને પૂછ્યું કે તો પછી છૂટાછેડા શા માટે લેતી નથી? જવાબ મળ્યો કે :મૂર્ખ છું એટલે તેના જવાબ થી એકદમ આનંદ માં આવી ગયો અને લાગણીશીલ અવાજ થી સિનેમા કે નાટક ના સંવાદ ની જેમ મારાથી બોલાઈ જવાયું  મૂર્ખ મૂર્ખ ,મૂર્ખ ---
 નાટક કે સરકસ ની ટીકીટ ખરીદી ને જોવા કરતાં તેના મફત પાસ મળે તો જોવા જવાનો કેટલો આનંદ આવે છે ? એજ રીતે ઉતરાણ માં પતંગ ચડાવવાની , અને બીજાના પતંગ સાથે પેચ લડાવવાની ખૂબ મઝા આવે છે , પરંતુ સૌથી વધુ  મઝા તો કોઈનો પતંગ કપાય ત્યારે ---કાયપો છે તેવી જોરદાર ચીસ પાડવામાં આવે છે આપણો અનુભવ છે . એવી રીતે કોઈને મૂર્ખ બનાવવા કરતાં ,કોઈ મૂર્ખ બને કે ના બને પણ એપ્રિલ ફૂલ  એપ્રિલ ફૂલ એમ ચીસાચીસ કરવાની વધુ મજા આવે છે , ટૂંક માં કાર્ય કરવા કરતાં તેના પરિણામ ને માણવાની વધુ મજા આવે છે .ફળ ની આશા રાખ્યા વગર કાર્ય (કર્મ ) કરવાની સલાહ ,ગીતા માં આપી છે પણ ,કાર્ય કરીને તેના ફળ ની પ્રાપ્તિ નો આનંદ ખરેખર અવર્ણનીય છે., તેમાં પણ કાર્ય કર્યા વગર જો ફળ ની પ્રાપ્તિ થાય તો તો કહેવું શું ? જગ્યા ચિત્રકૂટ યાદ આવે ,પેલા કવિ કહ્યું છે ને કે ,
                        चित्रकूट के घाट पर भयि संतन की भीर।
                                           तुलसीदास चंदन घिसें तिलक देत रघुबीर॥
                                                       
જોકે તુલસીદાસ તો પુણ્યશાળી અને નસીબદાર કે ,સાક્ષાત્ ભગવાન રામચંદ્ર તેમના હાથે ઘસેલ ચંદન નું તિલક કરાવે ! પરંતુ આપણામાથી  મોટા ભાગના લોકો તો કોઈક ના માટે ચંદન ઘસતા હોય છે આપણા  રોજબરોજ ના જીવન માં પણ વાત જોવા મળે છે ,કોઈ સંસ્થા ના સરસ મજા ના  કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ શ્રી વક્તવ્ય આપે અને જાણે સંસ્થા ની બધી પ્રવૃત્તિ તેઓ સ્વયં કરતા હોય તેવો આભાસ મહેમાન ને કરાવી આપે , ત્યારે પ્રવૃત્તિ ના મૂળ માં રહેલા સંસ્થાના કર્મચારીઓ મનમાં સમસમી ને ભાષણ સાંભળતા રહે ,એટલુંજ નહિ પરંતુ બધા કર્મચારી માંથી ,પ્રમુખ શ્રી ની નજીક હોય તેવા એક કર્મચારી ને પણ સ્ટેજ પર આવવા નો મોકો મળે , આભાર વિધિ કરવા માટે ! અને આભાર વિધિ માં તેણે કહેવું પડે કે બધી પ્રવૃત્તિ માનનીય પ્રમુખ શ્રી ના માર્ગદર્શન ને લીધે શક્ય બની છે ! મોટા રાજકીય નેતા અને અધિકારીઓ પણ ઘણી વખત , કોઈક નું લખેલું ભાષણ વાંચતા હોય છે . અને મારી જાણ મુજબ  સરકાર માં પણ પ્રકાર ના કાર્ય માટે ખાસ અધિકારી અને તેની કચેરી ના કર્મચારીઓ  કાર્ય કરે છે .ઘણી વખત કોઈ પ્રકાર ની જરૂરિયાત વગર પણ અધિકારી ને ખુશ કરવા માટે તથા ખોટો લાભ મેળવવા માટે પણ કેટલાક કર્મચારી , તેમને ગમતું કામ કરતા હોય છે , તેમના ઘર નું પણ કામ કરી આપતા હોય છે ટૂંક માં ખુશામત નું ચંદન ઘસતા હોય છે . મૂળ વાત તો છે કે ચંદન કોઈક ઘસે અને તિલક આપણે કરીએ !! કેવી શુભ ઘડી!! , અને આવા કોઈ સમયે કદાચ લખાયું હશે કેસ્વર્ગ અહીં છે, અહીં છે, અહીં છે!!
         
 જોકે દરેક વ્યક્તિ ને ખુશામત પ્રિય હોય એવું જરૂરી નથી. ખુશામત પ્રિય   હોય તેવી વ્યક્તિઓનું  વ્યક્તિત્વ અલગ પ્રકારનું હોય છે ,તેનું સચોટ  ઉદાહરણ કવિ હૃદયી રાજવી કલાપી નું છે ,ખોટી ખુશામત અને પ્રશંસા થી થાકી ને , રાજા હોવા છતાં મન થી સંપૂર્ણ કવિ એવા શ્રી કલાપી થી લખાયું હશે કે ;
                         તમારા રાજ્યદ્વારો ના ખૂની ભપકા નથી ગમતા;
                          મતલબ ની મુરવ્વત ત્યાં , ખુશામત ના ખઝાના જ્યાં!
કેવા સંજોગોમાં લખાયું હશે ?“ખૂની ભપકાશબ્દ કયા ઉત્સવ માટે ઉપયોગ માં લીધો હશે? કવિ શ્રી કલાપી નું અવસાન , જુન ૧૯૦૦ માં થયું , પહેલા એટલે કે  આજથી લગભગ ૧૧૫ વર્ષ પહેલા લખાયેલું કાવ્ય આજે પણ આપણ ને સ્પર્શી જાય છે . કવિ શ્રી કલાપી જેવા ઉત્સવ અને ખુશામત થી દૂર ભાગતા  હોય તેવા મહાનુભાવ ખૂબજ અલ્પ સંખ્યા માં મળે .
            હું માંનું છું કે આજના યુગમાં , આપણા રોજ બરોજ ના જીવન માં ,ખૂબ તણાવ અનુભવવા પડે છે .સવાર થી ઊઠી ને રાત્રી સુધી કામ કરવું પડે છે .પોતાના કુટુંબી , સંબંધીઓ સાથે ગાળવા માટે નો સમય રાત્રે મળે છે. હકીકત માં સાંજના આઠ વાગ્યા પછી દિવસ શરુ થાય છે, તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આવા તણાવ ભર્યા જીવન માં એકબીજાની નિર્દોષ મશ્કરી કરી અને આનંદ મેળવવો જીવન જીવવાની જડીબુટ્ટી છે ,મૂર્ખાઈ નહીં. હકીકત માં આવા નાના નાના પ્રસંગ અને બનાવ ઘણી વખત જીવનભર નું ભાથું બની જાય છે , એક રીતે વિચારી તો આપણું જીવન પણ કોઈક ની મૂર્ખાઈનું પરિણામ નથી ? લાખો વર્ષ પહેલાં આદમ અને ઈવે, ભગવાન ના આદેશ નું પાલન ના કર્યું અને બગીચામાં થી ફળ ખાધું ,જેના પરિણામ સ્વરૂપે માનવ જીવન અસ્તિત્વ માં આવ્યું .તેમની મૂર્ખાઈ નું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ,હકીકત માં માણી રહ્યા છીએ તેમ કહીએ તો ચાલે. ટૂંક માં આપણું જીવન , નાની નાની નિર્દોષ મશ્કરી, નાના મોટા પ્રસંગો ,ઉત્સવ થી ટકી રહ્યું છે , એટલે આપણે બજેટ વગેરે મોટી બાબતો  ની ચિંતા છોડી દેવી , અને દરેક દુઃખ નું ઓસડ સમય છે એમ માની ને સમય ની રાહ જોવી વધુ સારો રસ્તો છે , અને છતાં કોઈનો સ્વભાવ વધુ સંવેદનશીલ હોય તો આપણા દેશી તહેવાર હોળી અને પરદેશી તહેવાર પહેલી એપ્રિલ ની રાહ જોવી , અને આપણે મૂર્ખ બન્યા તે માટે આપણી જાત ને होली है”  અને એપ્રિલફૂલ કહેવું. અને પોતાની જાત પર હસવું એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે ?

            ---------------------- X ----------------------                                

4