Thursday 6 June 2013

કૃષ્ણાર્પણ (લઘુકથા)

                   
                
                                          કૃષ્ણાર્પણ  (લઘુકથા) 
                                                        લેખક :- ડૉ .મૌલેશ મારૂ
પૂર્વાશ્રમ માં  પ્રધાન પદ ભોગવી ચૂકેલ એવા એ સન્યાસી ના આશ્રમ માં ઘણા બધા ભક્તો –રસતરબોળ થઇ તેમની વાણી સંભાળી રહ્યા હતા . રસ ના એ ઘૂંટ માં તરબોળ થયેલ ભક્તો જયારે રસ સમાધિ માંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે સાબરમતી નદી ગાંડીતૂર બની રહી છે ,સામે પાર જવાનો એક પણ માર્ગ રહ્યો નથી ,હવે શું કરવું ? ભક્તો સન્યાસી પાસે પહોંચ્યા અને મદદ માટે પ્રાર્થના કરી સન્યાસીજી મલકાઈ ને કહે તેમાં ગભરાવાની જરાપણ જરૂર નથી , જાવ સાબરમતી ની પાસે અને જઈ ને કહો કે “ હે સાબરમતી માતા ! સન્યાસીજી જો આ જન્મ “સદાચારી” રહ્યા હોય તો, અમને જવાનો માર્ગ આપો. ભક્તો એકબીજા સામે જોઈ રહ્યા , ભ્રષ્ટાચાર થી ભરપૂર એવા તેમના ભવ્ય ભૂતકાળ નેજાણતા હોવાથી તેઓ થોડા શંકાશી
લ બન્યા ,પરંતુ ગુરુ તરફ ની શ્રદ્ધા અને ઘેર પહોંચવાની ઉતાવળ હોવાથી ,વિચાર્યું  કે પ્રયોગ તો કરી જોઈએ ,જઈને નેતાજી એ કહેલા શબ્દો સાબરમતી ને કહ્યા ત્યાંતો બધાના આશ્ચર્ય વચ્ચે ,સાબરમતી ના નીર ના બે ભાગ પડી ગયા અને વચ્ચે ચાલી શકાય તેટલી જગ્યા થઇ ગઈ – લોકો તો સન્યાસીજી ની જય બોલાવતા ચાલવા માંડ્યા .
આ બનાવ અંતરિક્ષ માંથી નિહાળી રહેલ “નારદજી” થી આ વાત સહન ન થઇ ,એટલે દોડતા દોડતા પહોંચ્યા બ્રહ્માજી પાસે,કહે –પ્રભુ! ગજબ થઇ ગયો , હળાહળ  કળિયુગ !! બ્રહ્માજી મલકાતા મલકાતા કહે – “અરે નારદજી જરા સ્વસ્થ થાઓ ,અને પછી શું બન્યું તે કહો .નારદજી એ સંપૂર્ણ બનાવ નું વર્ણન કરી કહ્યું – પ્રભુ! આમાં હવે પૃથ્વી લાંબુ કેવીરીતે જીવશે ? પવિત્ર નદી ના નીર પણ આટલું જૂઠાણું ચલાવે?
બ્રહ્માજી કહે મુનિરાજ શાંત થાઓ ,હું તમને દુર્વાસા ઋષિ ની એક વાત કહું તે સાંભળો . યમુના નદી ના કિનારે ,કોઈ એક ગામ પાસે દુર્વાસા ઋષિ ચોમાસું ગાળવા માટે રહ્યા હતા .ઘણા નર નારી ઓ તેમના દર્શને આવે અને તેમના માટે ખૂબ સારો સારો પ્રસાદ પણ લાવે ,દુર્વાસા તો બધોજ પ્રસાદ પ્રેમપૂર્વક આરોગી જાય,તેમાં એકદિવસ તેમનો સત્સંગ પૂરો થયો અને ભક્તો એ જોયું તો યમુના નદી માં ઘોડાપૂર આવેલું ,યમુના તો ગાંડીતૂર બની હોય તેવું લાગે .આ જોઈ ને ભક્તો મુંઝાયા અને મદદ માટે દુર્વાસમુની ને પ્રાર્થના કરી જવાબ માં ,દુર્વાસા ઋષિ એ કહ્યું કે યમુના પાસે જઈ  તેમને કહો કે –યમુનામૈયા ,જો દુર્વાસા સદા ઉપવાસી હોય તો ,માતાજી અમને જવાનો માર્ગ આપો – ત્યારે પણ ભક્તો એ શંકાશીલ હૃદયે  યમુનાજી ને દુર્વાસા મુનિ નો સંદેશો કહ્યો અને ભક્તો ના આશ્ચર્ય વચ્ચે યમુનાના નીર ના બે ભાગ પડી ગયા અને ચાલવાનો રસ્તો થઇ ગયો .યમુનાજી એ શા માટે માર્ગ આપ્યો તે જાણો  છો?
નારદજી કહે –હા પ્રભુ , એમાં નવું શું છે ,બધુજ ખાતા હોવા છતાં તેઓ સદા ઉપવાસીજ હતા કારણ ,તેઓ દરક વસ્તુ પહેલા પોતાના ભગવાન શ્રીકૃષ્ણ ને અર્પણ કરતા એટલે તેમના મુખ માં ગયેલ અનાજ નું દરેક કણ ખરેખર તેમને કૃષ્ણાર્પણ જ કર્યું હશે ,તેમનો તો દરેક શ્વાસ પણ શ્રીકૃષ્ણ માટેજ ચાલતો ,અને એટલેજ તેઓ ઉપવાસી હતા .
મલકાઈ ને ભગવાને કહ્યું  –ત્યારે અહીં પણ એમજ છે , સમજ્યાને? નેતાજી પણ બધું પોતાના કૃષ્ણ ને અર્પણ કરતા ,સ્વયં પોતે તો પ્રભુનો પ્રસાદ જ ગ્રહણ કરતા ,એટલે હમેશ માટે સદાચારી !!
ખુશખુશાલ થઈને નારદજી પાછા પૃથ્વી  પર આવવા પગલાં ભરવા માંડ્યા .
          ----------------------------------------  X -------------------------------------------

No comments:

Post a Comment