Saturday 25 October 2014

આગાહી કરવી એય છે એક લહાણું ! [ પ્રતિલિપિ મે -2016]


                              આગાહી કરવી એય છે એક લહાણું !
                                                            લેખક :- ડૉ મૌલેશ મારૂ
          ભવિષ્ય જાણવાની ઈંતેજારી ફક્ત  હિંદુ ઓ માં જ છે એવું નથી દરેકે દરેક મનુષ્ય ની એ નબળાઈ છે અને એટલે જ દુનિયાના લગભગ દરેક દેશ માં ભવિષ્યવેત્તા ઓ ની કીમત હમેશ રહે  છે જ . આપણા  દેશ માં કદાચ આનું પ્રમાણ વધારે હશે! ભવિષ્ય જાણવા ના ઘણા બધા પ્રકાર છે તેમાં   જ્યોતિષ શાસ્ત્ર વધુ લોકપ્રિય છે. તે ઉપરાંત સંજોગો પર થી પણ ઘણા અનુમાન થઇ શકે છે, આપણા જીવન ના દરેક પાસાં પરથી પણ આપણા  ભવિષ્ય વિષે જાણકારી મળી શકે છે. મારા એક મિત્ર એવો દાવો કરે છે કે  કોઈ પણ વ્યક્તિ ના બાહ્ય દેખાવ પર થી વ્યક્તિ ના સ્વભાવ વિષે તેઓ સચોટ આગાહી કરી શકે છે, અલબત્ત તેમનો આ દાવો લગભગ પોકળ પુરવાર થાય છે કારણ તેઓ ની વ્યક્તિ ના સ્વભાવ વિષે ની આગાહી સંપૂર્ણ અસત્ય હોય છે. જોકે તેઓ નું માનવું છે કે આગાહી કરવી એજ અગત્ય ની વાત છે ,આગાહી સાચી પડે કે ખોટી તે ગૌણ વાત છે આગાહી કરવા માટે ના મુખ્ય પ્રકાર માં વ્યક્તિ નો પડછાયો (છાયા જ્યોતિષ ) , હસ્તરેખા ,જન્મ ના ગ્રહ , અંક જ્યોતિષ , પ્લાંચેટીંગ , અને સહુ થી અગત્ય નો પ્રકાર હૈયાસૂઝ છે.
          થોડા દિવસ પહેલા અમારા મિત્રમંડળ ની ચર્ચા માં મેં એક વિધાન કર્યું કે મનુષ્ય નું ભવિષ્ય તેના વજન પર આધારિત છે. મારી કોઈ પણ વાત પર હસવું જ જોઈ એ એવી વૃત્તિ અને લાગણી ધરાવતા મિત્રો પહેલાં તો ખડખડાટ હસવા માંડ્યા , પછી ગંભીર થઇ ને કહે – “ આ   મશ્કરી નો વિષય નથી “
  મેં કહ્યું – “ આ  મશ્કરી નથી હકીકત છે , તમારા વર્તમાન ના વજન પર થી તમારા વિષે આગાહી થઇ શકે “
  એક મિત્ર કહે એમ!! તો મારું વજન ૫૪  કિલોગ્રામ છે , મારું ભવિષ્ય કહો જોઈએ ?
  મેં તુરત જ કહ્યું – “ પ્રણય બાબત માં સફળતા મળે તેવા સંજોગો છે , હાલ માં તમારા જીવન માં પ્રગતિ થઇ રહી છે “ તેઓ એકદમ ગંભીરતા પૂર્વક કહે “ દરેક વિષય ને જો તમે આમ મશ્કરી માં ઉડાડશો તો વહેલી તકે આપણી મિત્રતા નો અંત આવી જશે .મને થયું કે હવે તેઓને વધારે સતાવવા યોગ્ય નથી તેથી મારા ખિસ્સાં માંથી એક ટિકિટ કાઢી ને તેઓ ને આપી અને કહ્યું – વાંચો ! રેલવે સ્ટેશન ના સ્વયં સંચાલિત વજન કાંટા ની એ ટિકિટ હતી, જેમાં એક બાજુએ વજન અને તેની પાછળ ની બાજુએ ભવિષ્ય લખેલ હતું .
  આપણા  જીવન માં ઘણી જગ્યાએ સાવચેતી ની સૂચના પ્રારંભ થી જ આપવામાં  આવેલી છે, મુખ્યત્વે મુસાફરી માં ઘણા પ્રકાર ની તકેદારી જ્યોતિષ શાસ્ત્ર માં  દર્શાવેલ છે, ઉદાહરણ સ્વરૂપે, હમણાં એક દિવસ હું રાજકોટ થી જામનગર જવા નીકળ્યો ત્યારે મને રોકી ને મારા પત્ની મને કહે જામનગર કઈ દિશામાં આવ્યું ? મેં કહ્યું –“પશ્ચિમ દિશામાં “ તો એકદમ ખુશ થઇ ને કહે તો એ દિશામાં કોઈ  હરકત નથી . મેં કહ્યું – કેમ? જવાબ માં કહે એ દિશામાં “દિશાશૂલ”  નથી એટલે વાંધો નહિ. મેં કહ્યું આમ પણ કોઈ  દિશામાં શૂળ છે નહિ અને દિશા રૂપી શૂલ લાગવાનો સંબંધ કદાચ દિશા ઓ રૂપી વસ્ત્ર પહેરનાર ને હશે આપણને નહિ . એકદમ ગંભીર થઇ ને શ્રીમતી કહે –“જુઓ ધર્મ ની દરેક બાબત ની તમે મશ્કરી કરો છો તે બરાબર નથી “ જવાબ માં મેં કહ્યું હું કદાચ મશ્કરી કરતો હોઈશ તો પણ આપણા જડ  થઇ ગયેલા વિચારો ની , આપણા  શાસ્ત્રો ની મશ્કરી તો મનમાં પણ હું કરતો નથી . મારાં  નાની અને મારાં  માતુશ્રી એકદમ સનાતન ધર્મ નું પાલન ચુસ્ત રીતે કરતા અને અમારી પાસે પણ કરાવતાં , તેઓ સમક્ષ હું ઘણી વખત શાસ્ત્રો પર મારી આગવી રીતે ચર્ચા કરતો અને જો તેમની પાસે મારી દલીલ નો જવાબ ન હોય તો તેઓ એકદમ વિચિત્ર મુખ મુદ્રા કરી અને મૌન ધારણ કરી અને મારી પાસે ધાર્યું કરાવતાં , લગભગ તેવા જ પ્રકાર ની મુખમુદ્રા કરી અને શ્રીમતી એ મૌન ધારણ કરી લીધું , તેમના મૌન વ્રતે મને વિચારતો કરી મૂક્યો . શાસ્ત્રો ની વાત એક બાજુએ રાખીએ તો પણ એક વાત તો નક્કી છે કે ભવિષ્ય જાણવા માટે લગભગ દરેક વ્યક્તિ આતુર હોય છે . ઘણા લોકો (હું પણ ) જાહેર માં જ્યોતિષ શાસ્ત્ર ની મશ્કરી કરતા હોય છે – પરંતુ મન થી તેમાં શ્રદ્ધા ધરાવતા હોય છે . મારા એક મિત્ર તો દૈનિક પત્ર માં આવતાં રોજ ના રાશી ભવિષ્ય મુજબ પોતાના કાર્યક્રમો ની ગોઠવણી કરે છે.
   કોઈ પણ બનાવ અંગે ની આપણને એટલે કે હિંદુ ઓ ને અગાઉ થઇ જાય છે તે જગજાહેર વાત છે. આપણા ઘણા વડવા ઓ ને પોતાના મૃત્યુ ની આગાહી અગાઉ થી થઇ જતી ને ? થોડા દિવસ પહેલાં અમારા એક સંબંધી ના મૃત્યુ ની પ્રાર્થના સભામાં જવાનું થયું ,ત્યારે મારા જાણવા માં આવ્યું કે , તેમના મૃત્યુ ના દિવસે કંઇક  અમંગળ બનવાની આગાહી તેમના ઘણા સ્વજન ને થયેલ , કોઈક ને મનમાં વગર કારણ ની અશુભ લાગણી ઓ ઉત્પન્ન થતી હતી , એક બહેન ને દૂધ ઊભરાઈ ગયેલું , કોઈને બિલ્લી આડી ઉતરી હતી , કોઈ ને વહેલી સવારના અશુભ સ્વપ્ન આવેલ એક બહેન વળી એવું માનતા હતા કે બે વર્ષ પહેલા આ ઘરમાં રહેવા આવ્યા ત્યારે ગૃહ શાંતિ કરેલ  નહિ તેનું જ આ પરિણામ છે . અશુભ પ્રસંગ ની જેમ શુભ પ્રસંગ ની માહિતી પણ ઘણા લોકો ને અગાઉ થી જ્ઞાત થઇ જતી હોય છે . હકીકત માં કોઈ એક પ્રસંગ નું બનવું અને તે બન્યા પહેલા તેના વિષે અમુક ઘટના (કાલ્પનિક ?) પર થી તેની માહિતી પ્રાપ્ત થાય એ બંને ઘટના નું સંકલન એનું નામ જ , ભવિષ્ય અંગે ની આગાહી .અને જ્યારે આગાહી સાચી પડે ત્યારે આગાહી કરનાર વ્યક્તિ તરફ તેના પ્રશંસક જે અહોભાવ થી જોઈ રહે તે પણ એક અદભુત દૃશ્ય છે.
     આગાહી કરવાની આવડત અમુક પ્રસંગે ખુબજ ઉપયોગી થઇ પડે છે , ખાસ કરીને રેલગાડી ની મુસાફરીમાં જ્યારે ખુબજ ભીડ હોય ત્યારે હસ્તરેખા નું થોડું જ્ઞાન પણ કેટલું ઉપયોગી થાય છે તે આપણને જ્ઞાત છે . યુવાવસ્થા માં તો હસ્તરેખા નું જ્ઞાન બ્રહ્માસ્ત્ર નું કામ કરે છે. મને યાદ છે કે હું જ્યારે B.Sc. માં ભણતો ,એટલે કે આજથી લગભગ ૫૦-૫૫ વર્ષ પહેલાં , અમારા વર્ગ માં અમે પાંચ – છ વિદ્યાર્થીઓ હતા , જેમાં એક વિદ્યાર્થિની પણ શામેલ હતી. એકવાર વર્ગ માં અમારા માંથી તેની બાજુની પાટલી  પર બેઠેલ વિદ્યાર્થી એ દૂર થી તેની હથેળી ખુલ્લી જોઈ અને કહે અરે મિસ તમારી બુદ્ધિ ની રેખા ખુબજ પાવર ફૂલ છે , તે વિદ્યાર્થિની તેની સામે જોઈ ને થોડું મીઠું સ્મિત આપીને કહે –“અરે તમને હાથ પરથી ભવિષ્ય જોતાં આવડે છે? તો રિસેસ માં મને જોઈ આપશો? આ જોઈ ને અમે બધા અવાચક થઇ ગયા ,મનમાં ને મનમાં તે વિદ્યાર્થી ની ઇર્ષ્યા પણ કરવા લાગ્યા, સામાન્ય વિદ્યાર્થી માંથી અમારી નજર માં તે વી .આઈ. પી થઇ ગયો . મને યાદ છે કે બીજા દિવસે વર્ગ ના બધાજ વિદ્યાર્થી પાસે હસ્તરેખા શાસ્ત્ર નું એક પુસ્તક હાજર હતું ,અને ત્યાર પછી ના ઘણા દિવસો સુધી અમે બધા હાથ ની હથેળી નો આકાર , તેમાં રહેલા પર્વતો ,મેદાન અને જુદી જુદી રેખા વિષે સતત ચર્ચા કરતા રહેતા ,અને તે ચર્ચા ની અસર વિદ્યાર્થિની પર શું થાય છે તે જાણવા ને આતુર રહેતા. જોકે આજ ના યુવાનો ને આ વાત કદાચ અતિશયોક્તિ ભરેલી લાગશે, કારણ આજે યુવાનો પાસે સંપર્ક વધારવા માટે મોબાઇલ અને તેની એપ્લીકેશન્સ  અસ્તિત્વ માં છે , અને સાધનો કરતા પણ વિશેષ યુવક અને યુવતી ને મળવાની જે  સામાજિક સ્વતંત્રતા અત્યારે છે,   તે અમારા સમય માં નહોતી. અમે તો એ યુગ માં ભણતા કે જ્યારે વિજાતીય વ્યક્તિ સાથે ,વાતચીત કે મિત્રતા સામાજિક ગુનો ગણવામાં આવતો. અને સંપર્ક માટે મોબાઇલ તો દૂર ની વાત થઇ પણ લેન્ડલાઇન પણ ,પણ પૈસાદાર જ વસાવી શકતા, પી. સી. , લેપ ટોપ , ટેબ્લેટ વગેરે તો કલ્પના માં પણ નહોતાં, એટલે સંપર્ક કરવા માટે પુસ્તક કે નોટબુક ની આપલે , વાકચાતુર્ય, સંગીત કે રમતગમત માં નિપુણતા અગત્ય ના સાધનો ગણાતા. તેમાં પણ વાકચાતુર્ય અને હસ્ત રેખા શાસ્ત્ર નું થોડું પણ જ્ઞાન એકદમ હાથવગાં શાસ્ત્રો ગણવામાં આવતાં . જોકે મારો અનુભવ છે કે આજના વખત માં પણ હસ્ત રેખા શાસ્ત્ર અડગ અને અજેય છે, આજ પણ સંદેશ ની આપલે પછી મૃદુતા થી હસ્ત સ્પર્શ માટે હસ્ત રેખા શાસ્ત્ર જ ઉપયોગ માં લેવું એજ નિર્દોષતા પૂર્વક પ્રેમ ના પ્રારંભ નું પ્રથમ સોપાન છે ને ? અને જ્યારે પ્રથમ સોપાન પૂર્ણ થયા પછી પરસ્પર પ્રેમ નો એકરાર થાય ત્યારે વ્યક્તિ માં કવિ આત્મા પ્રવેશે અને મનમાં થાય કે આગાહી કરાવી એય છે એક લહાણું.
 જ્યોતિષ શાસ્ત્ર નો ઉપરોક્ત ચર્ચા મુજબ  ઉપયોગ કરવો એક વસ્તુ છે ,અને તેમાં અંધશ્રદ્ધા રાખવી એ બીજી બાબત છે. ટેકનોલોજી ના આ યુગ માં પણ આ શાસ્ત્ર માં અતૂટ શ્રદ્ધા ધરાવતો એક મોટો સમૂહ અસ્તિત્વ માં છે, અને મારાં વર્ષો ના અવલોકન પરથી મને લાગે છે કે  આ સંખ્યા માં વધારો થતો જાય છે !  ટેકનોલોજી ના અત્યંત આધુનિક યુગ માં આપણી આકાંક્ષા અને અપેક્ષા ખૂબ વધી ગઈ છે અને તેની પ્રાપ્તિ નહિ થવા થી  આપણી માનસિક અશાંતિ અને અસંતોષ  પણ એટલાં જ વધી ગયેલ છે , જે કદાચ આપણી  જ્યોતિષ શાસ્ત્ર માં શ્રદ્ધા માટે નું કારણ છે ! અને  એજ કારણ થી કદાચ આશ્રમો અને ગુરુ ઓ ની સંખ્યામાં પણ દિવસે દિવસે  વધારો થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા એક મિત્ર મળ્યા, સામાન્ય રીતે ખુશમિજાજ માં રહેતા મિત્ર ના ચહેરા પર થોડી ઉદાસી જોઈ ને મેં પૂછ્યું – “ કેમ ઉદાસ દેખાવ છો ? “ જવાબ માં તેઓ કહે – “ખાસ તો કંઇ નથી પણ , મારી પુત્રી ના વિવાહ ની ચિંતા છે” મેં કહ્યું – “કેમ ? તમારી પુત્રી તો  દેખાવ માં સુંદર છે, અને એન્જીનીઅર થયેલ છે, તેના વિવાહ ની વળી શું ચિંતા ?” તેઓ કહે એ બધું સાચું પણ તેની કુંડળી માં “મંગળ” છે તેથી તેને યોગ્ય મંગળ વાળો મુરતીઓ મળતો નથી, હું આશ્ચર્ય પૂર્વક તેમને જોઈ રહ્યો અને એકદમ આશ્ચર્યચકિત  અવાજ થી પૂછ્યું “ તમે આવા બધા વહેમ માં માનો છો ?” તેઓ કહે વહેમ શેનો ? આતો શાસ્ત્રોક્ત વાત છે, પછી ન માનવા નો સવાલ જ ક્યાં છે ? મેં કહ્યું , અચ્છા તો મારી એક વાત નો જવાબ આપો , તમે રામાયણ વિષે તો સાંભળ્યું છે ને? તો કહે-“તેમાં પૂછવાનું હોય , મને તો ઘણી ચોપાઈ પણ કંઠસ્થ છે.” મેં કહ્યું તો પછી મને એ સમજાવો કે ભગવાન રામ ને રાજગાદી એ બેસવાનું મૂહુર્ત તો વશિષ્ઠ મુનિ એ જ કાઢ્યું હશે ને? તેમ છતાં તે મૂહુર્ત માં ગાદીએ બેસવા ને બદલે તેમને વનવાસ ભોગવવા શા માટે જવું પડ્યું ?” મને કહે એવા
ખોટા વિચાર કરવા બંધ કરો , એ તો ભગવાન ની લીલા હશે , આપણને તેમાં સમજણ ના પડે .” તેમના આ જવાબ પછી તેમની સાથે ચર્ચા કરવી અશક્ય હતી તેથી હું શાંત થઇ ગયો. લગ્ન જીવન માં  મંગળ  ની જેમ શનિ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે તેવી પણ એક માન્યતા છે. આજ રીતે જન્મકુંડલી માં કાલસર્પ યોગ અમંગળ ગણાય છે ,ગ્રહ પણ ઉચ્ચ કે નીચ હોઈ શકે છે. એકવાર એક જ્યોતિષી ને મેં કહેતા સાંભળ્યા કે “તમારો ગુરુ(ગ્રહ) નીચ નો છે ત્યારે મને અત્યંત આશ્ચર્ય થયેલ. એક વસ્તુ તો ચોક્કસ છે કે વર્ષો થી આપણા  મન માં ઘર કરી ગયેલી કેટલીક માન્યતાઓ ને દૂર કરવી ઘણી કઠીન બાબત છે, કોઈ પણ શાસ્ત્ર ને માનવું તે બાબત નો વિરોધ ન હોઈ શકે પણ, સમજણ  વગર તેને વળગી રહેવું તે પણ યોગ્ય નથી. મારી માન્યતા મુજબ જ્યોતિષ શાસ્ત્ર  સંભાવના પર આધારિત છે ઉપરાંત તેના ઘણા ગ્રંથો ના વાંચન પછી મને લાગે છે કે તેમાં અગત્ય ની જરૂરત છે  ગણિત નું ઊંડાણ પૂર્વક નું જ્ઞાન , ગ્રહ ની ગતિ નો સૂક્ષ્મ અભ્યાસ , અને ફળ કથન માટે ખુબજ શુદ્ધ મન અને ઈશ્વર કૃપા.
 હકીકત માં આપણા મન ના ઊંડાણ માં આપણને  ભવિષ્ય વિષે ચિંતા રહેલી હોય છે ,અને જેમ જેમ આપણી ઉમર વધતી જાય તેમ તેમ આપણે મન થી નબળા પડતા જઈએ છીએ ,અને ભવિષ્ય માં શું બનવા નું છે તે જાણવા ની તીવ્ર ઈચ્છા આપણને જુદા જુદા પ્રયોગ તરફ ખેંચી જાય છે . વાસ્તવ માં આવી માનસિક નબળાઈ થી દૂર રહી ને , મન ને મજબૂત બનાવી આપણી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક સ્થિતિ એકદમ મજબુત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ , આપણી જાત ને એટલી મજબૂત બનાવવી જોઈએ કે આપણી ઈચ્છા મુજબ, આપણા ભવિષ્ય નું સર્જન થાય અને ભગવાન ને પણ આપણી ઈચ્છા પૂર્ણ કરવાનું મન થાય ,પેલા ઉર્દૂ કવિ એ કહ્યું છે તે મુજબ
        खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले , खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है
 આપણા જીવન વિષે બીજી કોઈ વ્યક્તિ સાચી ખોટી આગાહી કરે, આપણને માનસિક અસ્થિર બનાવે અને પોતે મહત્વ મેળવે તેના કરતાં આપણે બુદ્ધિપૂર્વક આપણી જાત માં સંપૂર્ણ વિશ્વાસ રાખી યોગ્ય પુરુષાર્થ કરીને સ્વયં આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એ વધુ સારો માર્ગ નથી?
                 ---------------------------- X ------------------------




         

Sunday 7 September 2014

અવેતન નાટકો ( જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ )

                      અવેતન નાટકો
  (જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ) 
                                                             
           આજે રીમોટ ના ઈશારે , આપણી ઈચ્છા પ્રમાણે આપણે ટીવી પર મનોરંજન કાર્યક્રમો નીહાળી શકીએ છીએ, તે ઉપરાંત સિનેમાગૃહ માં મનપસંદ ફિલ્મ કે નાટ્યગૃહ માં મનપસંદ નાટક માણી  શકીએ છીએ .મનોરંજન નો ખજાનો જાણે કે  આપણા હાથ માં આવી ગયો છે ,પરંતુ વર્ષો પહેલાં જ્યારે મનોરંજન ના સાધન તરીકે ફક્ત રેડીઓ (અને એમાં પણ એફ. એમ  નહિ) જ  અસ્તિત્વ માં હતો  અને એ પણ શ્રીમંત માણસો જ વસાવી  શકતા. ત્યારે મનોરંજન માટે જુદા જ પ્રકાર ના સાધનો અને વ્યવસ્થા નો ઇતિહાસ પણ મનને આનંદ આપે એવો છે .
       અત્યાર ના વડીલો કે જેમનું બાળપણ નાના ગામડામાં વીત્યું છે તેમને બરાબર યાદ હશે કે એ જમાનામાં,મનોરંજન એટલે ભવાઈસવારના ગાડાં માં, ઘોડાઓ પર બેસીને  તથા પગે  ચાલીને ગામ માં ભવાયા નો પ્રવેશ થાય એટલે નાનાં મોટાં દરેક જણ આનંદ માં આવી જાય , અને સાંજ પડે ત્યાં વાળુ (dinner) પતાવી ને ભવાયા ના ખેલ જોવા આવી જાય. અને ભવાઈ કરવા માટે  ગામના ચોરા  ની સામે ની ખુલ્લી જગ્યા , આધુનિક ભાષા માં કહીએ તો ઓપન એર થીએટર , કાયમ માટે નિશ્ચિત જ હોય. આ માટે બેસવા ના સાધન , ખાટલી ,ગોદડા વગેરે પણ સાથે લાવવા ના. લગભગ આખી રાત જુદા જુદા ખેલ ભજવાય પરંતુ આ જોવા માટે કોઈ પણ પ્રકાર ની ટીકીટ, પાસ કે આમંત્રણ કશા ની જરૂર નહિ, રામ વિવાહ જેવા પ્રસંગ માં તો ગામ ના લોકો પણ જાનૈયા ની જેમ વર્તે અને દ્રશ્ય ને વાસ્તવિક બનાવી દે . ભવાયા  ના વેશ જોઈ ને  લોકો પોતાની રીતે પૈસા , વસ્તુ , અનાજ વગેરે આપે .અને ભવાયા પણ પોતાનું જીવન આનંદ પૂર્વક તથા સન્માન પૂર્વક જીવી શકતા કોઈપણ પ્રકાર ના કાયદા વગર સમાજે જવાબદારી ઉઠાવી હોય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે .
     ભવાયા ના વેશ ની જેમ નાટક પણ મનોરંજન નું ખૂબજ પ્રચલિત અંગ છે ,અત્યારે સ્ટેજ પર ભજવાતાં નાટક આધુનિક ટેકનોલોજી ને લીધે એકદમ ઉત્કૃષ્ટ પ્રકારના હોય છે ,અને નાટકના કલાકાર પણ ફિલ્મ ના અભિનેતા ની જેમ સારી કમાણી કરતા હોય છે .નાટક ની ખરી મજા “અવેતન નાટક” પૂરી પાડે છે. અવેતન નાટક એટલે જેમાં કલાકાર ને કશું જ વેતન ના મળે , અને નાટક જોવા માટે પ્રેક્ષકો એ  પણ પૈસા ન આપવા પડે ,હા – કદાચ પાસ લેવા ની મહેનત કરવી પડે . આ પ્રકારના નાટક સામાન્ય રીતે જ્ઞાતિ ના મેળાવડા માં , શાળા-કોલેજ ના વાર્ષિકોત્સવ માં વગેરે માં ભજવાતાં હોય છે .અવેતન નાટક આપણા દરેક ના જીવન નું એક અવિસ્મરણીય પાસું છે .અભિનય ની વાત આવે એટલે કોઈપણ ઉંમરે મનના એકાદ ખૂણામાં સ્પંદન જરૂર ઊભા થાય  આપણને  બાળપણ માં લઇ જાય . બચપણ માં નાટક ન કર્યાં હોય તેવા બહુ થોડા લોકો હોય છે .અને આ નાટક એટલે અવેતન નાટક. મારા બચપણ ના એ દિવસો મને યાદ આવે છે કે જ્યારે ટેલીવિઝન તો શું રેડીઓ પણ અસ્તિત્વ માં નહોતો ,એ વખતે અમારા ગામમાં અમારી જ્ઞાતિ (નાગર) ના યુવક ને મનોરંજન કાર્યક્રમ કરવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો પહેલી મુશ્કેલી જ્ઞાતિ ના વડીલો ની મંજૂરી ,બીજી મુશ્કેલી કાર્યક્રમ માટેની જગ્યા માટે નાગર બૉર્ડિંગ ના રૅક્ટર ની મંજૂરી  મેળવવાની , આ બંને મંજૂરી માટે ઘણી બધી શરત નું પાલન કરવું પડે ,જેમાં પુરુષ અને સ્ત્રી કલાકાર સાથે હોય તેવો કોઈપણ કાર્યક્રમ રાખવો નહિ , તથા કાર્યક્રમ સૂર્યાસ્ત પહેલા પૂરો થઇ જવો જોઈએ ,તે મુખ્ય શરત રહેતી .આ પ્રકાર ની શરત સાથે પણ કાર્યક્રમ યોજવામાં આવતા , આવા કાર્યક્રમ ભર બપોરે સૂર્ય ના તડકામાં ખુલ્લી જગ્યામાં બેસીને  પણ  અમે ખુબજ ઉત્સાહ થી માણ્યા છે, ત્યારે એસી તો અસ્તિત્વ માં જ નહોતું પણ પંખાની વ્યવસ્થા પણ નહોતી. સ્ટેજ પર પણ કુદરતી પ્રકાશ જ મળતો લાઈટ અને સાઉન્ડ ની આધુનિક વ્યવસ્થા ની તો કલ્પના પણ નહોતી આમ છતાં  આજે પણ તે દિવસો ને અને તે કાર્યક્રમ ને યાદ કરીને હું રોમાંચ અનુભવું છું.
         અવેતન નાટક ના કલાકાર નો મિજાજ પણ જુદા પ્રકારનો હોય છે અને તેમાં પણ નાટક ના મહા મૂલ્યવાન સ્ત્રી કલાકાર નો મિજાજ તો ઓર જ હોય છે .કેટલી વિનવણી પછી કોઈ બહેન પાત્ર ભજવવા તૈયાર થયાં  હોય ,તેની કોઈ નબળાઈ જોવાની ન હોય , ભલે ને પછી એ કોઈ મૃત માનવી પાસે બેસીને, લલકારવા માંડે કે “શબ કો શન્મતી દે  ભગવાન--------- “ ,તો પણ ડિરેક્ટર થી કોઈ સુધારો સૂચવી ના શકાય .અને આવા  અશુદ્ધ ઉચ્ચાર છતાં તેનો જુસ્સો ,ગૌરવ એવા પ્રકારનું હોય કે , ભલભલા પુરુષ કલાકાર ને પણ વિચાર આવે કે – કાશી એ કરવત મૂકાવી ને –ભગવાન પાસે આવતા જન્મ માં એક રૂપકડો સ્ત્રી દેહ જ માગી લેવો જોઈએ ,પછી કોઈ પણ ક્ષેત્ર માં આગળ આવવા માટે આટલી બધી મહેનત તો ના કરવી પડે !!
         એકાદ અવેતન નાટકમાં બે કે ત્રણ મિનિટ નો નાનો રોલ ભજવ્યો હોય તેવી વ્યક્તિ ને વર્ષો પછી તે નાટક ની વાત કરતાં સાંભળવાની તક તમને ક્યારેય મળી છે ? ખરેખર આ એક માણવા જેવો લહાવો છે ,મને આવી તક એક વાર મળી છે , એકવાર ટ્રેન માં મુસાફરી દરમ્યાન આવા એક કલાકાર મારા  સહયાત્રી હતા , મારાથી ભૂલમાં નાટકની વાત નીકળી ગઈ ,પછી તો પૂછવું જ  શું? કલાકાર શરુ થઇ ગયા ,મને કહે ,ભાઈશાબ  ,શું વાત કહું ? આજે પણ એ પ્રસંગ યાદ આવે છે ,ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઇ જાય છે .વાત એમ હતી કે ,અમારી જ્ઞાતિ ના એક મેળાવડા  માં મેં કામ કરેલું, મારું પાત્ર એક રાજા ના ખાસ ડોક્ટર તરીકે નું હતું . નાટક સમયે હું સ્ટેજ પર ગયો, મહારાજા ના હાથ ની નાડ પકડી ને ,ઘડિયાળ જોવા માટે કોટ ની બાંય ઊંચી કરી તો ઘડિયાળ પહેરવાનું ભૂલાઈ ગયેલું ,મને તો પરસેવો થઇ ગયો ,અને ઉતાવળ માં  મેં  હેટ માથા  પરથી ઉતારી ને નીચે મૂકી ,અને એ ગંભીર દ્રશ્ય માં પણ ઓડીયન્સ માં હાસ્ય ફેલાઈ ગયું ,પહેલાં તો મને સમજાયું નહિ ,પણ તુરત યાદ આવ્યું કે ,હેટ  ઉતારીને મેં ગંભીર ભૂલ કરી છે ,કારણ તે અરસામાં જ મારા દાદા નું અવસાન થયેલ , તેથી રિવાજ મુજબ મારે માથાના વાળ ઉતરાવી ને ટકલુ કરાવવું પડેલ , આટલી વાત કરીને તે મહાશય પોતે હસવા લાગ્યા અને પછી ,પાછા ગંભીર થઇ ને કહેવા લાગ્યા ,એમ ના માનશો કે અમારું નાટક સાવ ફારસ થઇ ગયું , મેં તરતજ વાત વળી લીધી , અને કહ્યું – જુઓ મહારાજા ,આવા  ગરમી ના દિવસોમાં રોગને આમંત્રણ આપવાના બદલે ,જરાપણ શરમાયા વગર ,મારી જેમ વાળ ઉતારવી નાખો !! અને તમે માનશો ? મારા એ હાજર જવાબ થી ભલભલા કલાકાર મંત્રમુગ્ધ થઇ ગયેલ .આજે પણ નાટક ની વાત નીકળે ત્યારે અમારી જ્ઞાતિ ના લોકો મને યાદ કરે છે . તેમની વાત પૂરી થાય ,તે પહેલાં જ તેમની બાજુમાં બેઠેલ બીજા એક આવાજ કલાકાર શરુ થઈ ગયા , પેલા ભાઈને કહે કે ,  તમે તો ખાલી નાના  એવા રોલ માં થોડી બુદ્ધિ  દોડાવી, પણ હવે મારી વાત સાંભળો ,મેં તો ઘણા નાટક માં દિગ્દર્શન કર્યું છે ( અવેતન નાટક ની પરિભાષામાં એક થી શરુ કરીને કોઈપણ સંખ્યા ને માટે “ઘણા” શબ્દ નો ઉપયોગ કરી શકાય .) મને યાદ છે કે મારા એક નાટક (એક નું એક નાટક પણ હોઈ શકે!)માં તો કેટલાક લોકો માત્ર તોફાન કરવા આવેલા .નાટક એવું હિટ ગયું કે તોફાન કરવાનો મોકો ન મળ્યો ,પરંતુ એક કલાઇમેક્ષ દ્રશ્ય માં અભિનેત્રી એ ચીસ પાડવાની હતી , બરાબર એજ વખતે કોઈ તોફાની એ  સ્ટેજ પાસે ફટાકડો ફોડ્યો ! ત્યારે અભિનેત્રી સાથે કેટલાક પ્રેક્ષકો ની  પણ ચીસ નીકળી ગઈ ,થોડી વાર તો હું પણ હતપ્રભ થઇ ગયો ,પરંતુ તરતજ મેં મારી બુદ્ધિ દોડાવી અને થોડી વાર લાઈટ બંધ કરી અને સ્ટેજ પરથી એનાઉન્સ કરાવ્યુકે આ ફટાકડો દ્રશ્ય માં વાસ્તવિક્તા લાવવા માટે ફોડવામાં આવેલો , એ ફટાકડા ની અસર માટે છાપાં માં પણ વખાણ કરવા પડેલ .આ વાત સંભાળી ને અન્ય શ્રોતા  તો ઠીક પણ પેલા પ્રથમ  વાળા કલાકાર મિત્ર ગદગદ થઇ ગયા અને ખૂબ અહોભાવ થી વાત કરવા માંડ્યા .અને ત્યાર બાદ તે બન્ને વચ્ચે ની વિદ્વતા પૂર્ણ વાત સહન નહિ થવા થી બાકી ના સહયાત્રી ઊંઘવા માંડ્યા.
      અવેતન નાટ્ય કલાકાર ને માનસિક સંતોષ અને ગર્વ મળે તેવી પરિસ્થિતિ “આકાશવાણી” થી અસ્તિત્વ માં આવી તેમ કહી શકાય , સારો અને સ્પષ્ટ અવાજ ધરાવતા કલાકાર ને આકાશવાણી માં વેતન સાથે અભિનય કરવાની તક મળી ,જોકે અભિનય શબ્દ અહીં યોગ્ય નથી કારણ આકાશવાણી ના નાટક માં ફક્ત ધ્વનિ ના આંદોલન અગત્ય ના છે , કારણ રેડીઓ નાટક ફક્ત શ્રાવ્ય છે .અહીં મારો એક અનુભવ કહેવાનું મન થાય છે , આકાશવાણી  પર મેં પણ રેડીઓ નાટક માં પ્રવેશ કરવા માટે ઓડીસન આપેલ ,તેમાં જુદા જુદા પ્રકાર ની કસોટી ઉપરાંત નાટક નો સંવાદ બોલવા નો અને  સ્પષ્ટ ઉચ્ચારણ માટે  હળ્યાં મળ્યાં , બળબળતા બપોરે જેવા શબ્દો બોલવાના  અને જો “ “ળ” નો ઉચ્ચાર “ર” કે “ડ” કર્યો તો તમે નાપાસ ,ઈશ્વર કૃપા થી હું ઓડીસન માં સફળ થયો અને એક નાટક માં મને આમંત્રણ પણ મળ્યું , નાટકનું  રાષ્ટ્રીય કક્ષા એ પ્રસારણ થવાનું હતું. હું રેડીઓ સ્ટેશન પહોંચી ગયો , નાટ્ય વિભાગ નું સંચાલન કરતા દિગ્દર્શક શ્રી ,મને કહે ભાઈ મૌલેશ તમારો અવાજ મને ગમ્યો છે એટલે તમને એક અગત્ય નું પાત્ર આપવાનું વિચાર્યું છે ,હું એકદમ ખુશ થયો. થોડા સમય બાદ રિહર્સલ શરુ થઇ, મેં મારા પાત્ર નો વાર્તાલાપ વાંચ્યો ,પણ શબ્દો ના ઉચ્ચારણ માં જરૂરી ભાવ કે કંપન આવ્યાં નહીં , ઘણીવાર પુનરાવર્તન કર્યા પછી પણ હું મારા અવાજ માં જરૂરી કંપન લાવી શક્યો નહિ આથી અમારા દિગ્દર્શક નારાજ થઇ ગયા, અગત્ય નું પાત્ર બદલાવીને મને થોડું નાનું પાત્ર આપવાનું વિચાર્યું ,પરંતુ કોઈ પણ પાત્ર ને અનુરૂપ હું અવાજ માં સ્પંદન લાવી શક્યો નહિ , એટલે છેવટે એકાદ દ્રશ્ય માં નેપથ્ય માં બે ચાર વ્યક્તિ વાત કરતી હોય તેવા પાત્ર માં મારે ભાગે – અહોહો ભારે કરી!! એવા કંઇક  શબ્દ બોલવા નું આવ્યું – અને જ્યારે નાટક નું પ્રસારણ થયું ત્યારે પાત્ર ના પરિચય માં મારે માટે કહેવામાં આવ્યું કે  --- એક અવાજ – મૌલેશ મારૂ. અગત્ય ના પાત્ર માંથી એક અવાજ સુધી નીચે પડવા થી  મને મનના ઊંડા ખૂણામાં થોડું દુઃખ જરૂર થયેલ, પરંતુ નાટક માં ભાગ લેવા માટે આકાશવાણી તરફ થી પુરસ્કાર  મળ્યો ત્યારે મને અત્યંત આનંદ થયેલ – એ અનુભવ પછી મેં આકાશવાણી જ નહીં પરંતુ કોઈ પણ પ્રકાર ના નાટક માં ભાગ લેવાની હિંમત કરી નથી .
        આવા પ્રસંગો જે તે સમયે તો મન ને આહલાદક અનુભવ આપીને સ્ફૂર્તિ માં  લાવી દે છે ,ઉપરાંત જીવન ને પણ આનંદમય બનાવી દે છે  એ આપણા સહુ નો અનુભવ છે , પરંતુ વૃદ્ધાવસ્થા માં આવા પ્રસંગો ને વાગોળી ને મન એટલો આનંદ અનુભવે છે કે જીવન સંધ્યા પણ ખીલી ઊઠે છે ,અને આવા સમયે આપણને ખ્યાલ આવે છે કે સ્ટેજ  પર કરેલ નાટકો તો ગૌણ છે ,હકીકત માં આપણે જન્મ્યાં ત્યારથી આપણી આસપાસ ના લોકો સાથે આપણે તેમની સાથે ના સંબંધ મુજબ નાટક ના પાત્ર ની જેમ અભિનય જ  કર્યો છે ને? અને ત્યારે જ આપણને પણ સેક્સ્પીયર  ના  “ AS YOU LIKE IT” માં   કહેલ શબ્દો યાદ આવી જાય છે કે “આ દુનિયા એક રંગ મંચ છે ,અને સ્ત્રી તથા પુરુષ તેના પર અભિનય કરતાં પાત્ર છે “ આપણા જીવનભર નું કાર્ય દુનીઆના રંગમંચ પર ના આપણા અભિનય થી વિશેષ કંઇ જ  નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે અભિનય થી વિશેષ કંઇ જ નથી એવી અનુભૂતિ જો એકવાર થઇ જાય તો જીવન માં સુખદુઃખ ની લાગણી ગૌણ થઇ જાય.ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં અધ્યાય ૨ માં, સ્થિર બુદ્ધિ એટલે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ના લક્ષણ નું વર્ણન કર્યું છે , જેમાં એક શ્લોક  માં જણાવ્યા મુજબ ,
      दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः
     वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते- ५६

ઉપરોક્ત ગીતા ઉપદેશ ના સંદર્ભ માં જ્યારે કોઈપણ વ્યક્તિ નો સામનો કરવામાં આવે ત્યારે રંગમંચ ના સંદર્ભ માં વ્યક્તિ નું વર્તન તેને સોંપવામાં આવેલ પાત્ર મુજબ નું છે અને તમારી પ્રતિક્રિયા તમારા પાત્ર મુજબ ની છે , વ્યક્તિ નું વર્તન એ અભિનય અને વાર્તાલાપ કોઈક ની લખેલી સ્ક્રીપ્ટ છે એ અનુભૂતિ જો થાય તો મને લાગે છે કે સુખ - દુઃખ , જય- પરાજય, લાભ – ગેરલાભ વગેરે દ્વંદ્વ થી પર થઇ ને, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ દર્શાવેલ “ સ્થિતપ્રજ્ઞ” ની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.
     ------------------------- X ------------------------  


Thursday 12 June 2014

હવે - - - હું પણ હાસ્ય લેખક !!??

                             હવે- - -હું પણ હાસ્ય લેખક !!??
                                                   લેખક ડૉ.મૌલેશ મારૂ
              ગુજરાતી ના વિદ્વાન હાસ્ય લેખકો ના સાહિત્ય નો અભ્યાસ કર્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટે લેખ લખવા ઉપરાંત બીજી પણ કેટલીક જરૂરિયાત છે, જેમાં એક અગત્ય ની બાબત શારીરિક દેખાવ  જે સામાન્ય કરતાં થોડો વિચિત્ર હોવો જોઈએ અને એ વિષય પર એક લેખ હોવો જરૂરી છે , અલબત્ત તમારી શારીરિક નબળાઈ છતાં તમે બુદ્ધિપૂર્વક સબળ વ્યક્તિ ને કેવી રીતે હંફાવી દીધો તેવો એકાદ લેખ પણ ચોક્કસ લખી શકાય , સ્વ.જ્યોતીન્દ્રભાઈ દવે નો લેખ “મારી વ્યાયામ સાધના” આ વાત નું સચોટ ઉદાહરણ છે ,તેમાં તેમણે કુસ્તી શીખવતા ઉસ્તાદ ને હંફાવી ને કહ્યું છે કે “તું શરીર ના દાવપેચ જાણે  છે તો હું બુદ્ધિ ના દાવપેચ જાણું છું” તે દર્શાવે છે કે સશક્ત શરીર પર જ્યારે બુદ્ધિ હાવી થઇ જાય છે ત્યારે હાસ્યરસ ઉદભવી શકે છે. તમને થયેલો એકાદ રોગ અને તેમાં તમને ડોક્ટર સિવાય અન્ય લોકોએ આપેલી સલાહ અને સૂચવેલ દવા થી તમારી સ્થિતિ કેવી હાસ્યાસ્પદ અને દયનીય  થઇ તે પણ એક અગત્ય નો જ  નહીં પણ ફરજિયાત વિષય પણ છે , તેના પર એક લેખ લખવો જ જોઈએ. જોકે એક ભયસ્થાન પણ યાદ રાખવા જેવું છે ,તમને સમાજ  એક વાર  હાસ્ય લેખક તરીકે સ્વીકારી લે ત્યાર પછી તમે કદાચ તમારા અનુભવ પરથી કોઈ રોગ ની સચોટ દવા લોકોને બતાવો તો તેને પણ લોકો કદાચ ગંભીરતા થી ન જોતાં તમને પૂછે કે આ હાસ્ય લેખ તો નથી ને ? અને તમારે એ ઘટના પર પણ એક લેખ  લખવો પડે અને સ્પષ્ટતા પણ કરવી પડે કે આ તો હાસ્ય લેખ જ છે!! ટૂંકમાં  આ પ્રકાર ના અભ્યાસ પરથી મેં પણ નક્કી કર્યું કે મારે આ પ્રકાર નો એક લેખ જરૂર લખવો . નાના નાના રોગો કે જેમાં મોટા હાસ્યકારો ને ઘરગથ્થુ દવા ના ઘણા સલાહ સૂચન મળ્યાં હોય તેવા રોગો માં મારા મિત્રો અને સંબંધી ઓ, કોઈપણ સંજોગોમાં ઘરગથ્થુ દવા ના કરતાં ડોક્ટરની દવા લેવા નું સૂચન કરે છે , ત્યારે હું એકદમ દુઃખી થઇ જાઉં છું  , એમ લાગે છે કે  હાસ્ય લેખક થવા ની એક તક ગુમાવી રહ્યો છું. તેમાં મને ઓચિંતા ની એક તક મળી ગઈ , મારા તબીબી સારવાર અંગે નો વીમો ઉતારવા માટે લોહી નું પરીક્ષણ કરતાં ,ડાયાબિટીસ ની અસર જોવા મળી , અને મને હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટે ,જરૂરી વિષય મળી ગયો. ડાયાબિટીસ એવું દર્દ છે કે તેનું નિદાન ચોક્કસ રીતે થઈ શકે છે ,પરંતુ તે સમ્પૂર્ણ મટી જાય તેવો ઉકેલ કોઈપણ તબીબી શાખા માં નથી એમ હું માનું છું. અને એટલે તેમાં વ્યક્તિગત પ્રયોગ અને સલાહસૂચન નો બહોળો અવકાશ છે .
        ડાયાબિટીસ ! ! ! ? ?  નો વિચાર કરતાં જ મને  ગાલિબ  ની પંક્તિ યાદ આવી જાય છે ,
                                 इस सादगी पे कौन न मर जाए ऐ ख़ुदा
                                लड़ते हैं और हाथ में तलवार भी नहीं |
ડાયાબિટીસ તમારી સાથે લડે પણ તેમાં કોઈ જગ્યાએ કડવાશ નહિ મીઠાશ અને ફક્ત મીઠાશ તમારા લોહી ના દરેક બુંદ માં મીઠાશ ભરી દે પણ તમને મીઠી વસ્તુ ને હાથ પણ ના અડાડવા દે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે . વારસાગત રીતે પણ ડાયાબિટીસ થઇ શકે છે મને મારા પિતૃપક્ષ તથા મોસાળ પક્ષ માંથી આવા ઘણા વારસા મળેલ છે જેવા કે  સ્થૂળતા , વાયુ , હરસ વગેરે પણ મને લાગે છે કેયાબિટીસ મને કદાચ મોસાળ પક્ષ નો વારસો પણ હોય ! મને થોડું થોડું યાદ છે ત્યાં સુધી મારા નાના બાપુ ને ડાયાબિટીસ હતો , તેમની એક વાત પરથી મને ડાયાબિટીસ નો માનસિક વારસો મળ્યો ,તેઓ એક રાજ્ય ના કારભારી હતા ( આપણો દેશ સ્વતંત્ર થયો તે પહેલાં ) , તેમના રાજા(બાપુ)નો એક રમૂજી પ્રસંગ તેઓ અવારનવાર વર્ણવતા , બાપુને  ને ડાયાબિટીસ થયો ,એ જમાના માં ડાયાબિટીસ ને  આયુર્વેદ મુજબ મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવતો  અને લોકભોગ્ય ભાષામાં મીઠીપેશાબ તરીકે ઓળખાતો . રાજાજી ને  ખાવા માં શું આપવું તેની યાદી વૈદ્યે મારા નાનાજી ને આપી અને તેમણે  સીધી રસોયા ને આપી દીધી . ડાયાબિટીસ ને લગતું ભોજન થાળી માં આવ્યું કે તરતજ બાપુ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો ,બૂમાબૂમ કરવા લાગ્યા. તેમને શાંત પાડી ને મારા નાના બાપુ એ તેમને  સમજાવ્યું કે વૈદરાજ કહે છે કે ,આપને  મીઠીપેશાબ નો રોગ છે એટલે આવું જ ભોજન લઇ શકાય .બાપુ કહે એટલે મને શું થયું છે ? નાના બાપુ કહે વૈદ ના કહેવા મુજબ  આપના પેશાબ માંથી ખાંડ  બહાર નીકળે છે . રાજાજી કહે એ વૈદ ને કેવી રીતે ખબર પડી? એણે  ચાખ્યો છે?   રાજા ,વાજાં ને વાંદરા ને કોણ સમજાવી શકે? પણ આ વાત થી ડાયાબિટીસ નામના રોગ ના નામ નો વારસો મને મારી બાલ્યાવસ્થા  દરમ્યાન મળ્યો .
            મારા આશ્ચર્ય વચ્ચે મને જાણવા મળ્યું કે મને ડાયાબિટીસ છે ત્યારે સામાન્ય રીતે મનુષ્ય સહજ સ્વભાવ મુજબ હું પણ મને ડાયાબિટીસ હોય તેમ માનવા ને તૈયાર નહોતો, અને  આજ પણ હું માંનું કે ,મને ડાયાબિટીસ હોય જ નહીં , લેબોરેટરી ના સાધન માં જ  ખામી છે. મારા ડાયાબિટીસ ની વાત જાણતા જ મારાં શ્રીમતી નું ફોન નું નેટવર્ક ચાલુ થઇ ગયું , તેની બહેનપણી ઓ સાથે ની ફોન ની વાતચીત થી મને સમજાયું નહીં કે ,મને ડાયાબિટીસ નીકળ્યું તેનું તેને દુઃખ છે કે પછી ગર્વ છે , તમે જરૂર પૂછશો કે કે મેં એવું કેમ વિચાર્યું ? એની એક મિત્ર સાથે એ વાત કરતી હતી કે , તું કહેતી હતી ને કે અમારા ઘર નો ફૂડ એકદમ રીચ છે , તે વાત સાચી હો , મારા મિસ્ટર ને ડાયાબિટીસ નીકળ્યું ,મને લાગે છે કે અમારા રીચ ખોરાક ની જ  અસર ! ! મને તો બળ્યું ,ઓછા તેલ માં દાળ – શાક કરવા નું ફાવતું જ નથી , લાગે છે કે ઓલી ચંપાડી પાસે શીખવા જવું પડશે ! એમ કહીને બન્ને મિત્રો ખૂબ  જોરથી વ્યંગ ભર્યું હસવા લાગ્યાં ! પછી ફરીથી વાતચીત શરુ , હેં – તારી વાત સાચી ,હવે ઘરમાં મિષ્ટાન્ન  બનાવવામાં થોડી તકલીફ જરૂર થઇ જવાની ,પરંતુ તેમનાથી ગળ્યું ન ખવાય એટલે મારે થોડું ,ખાવાનું બંધ કરી દેવાય ,અને આ જમાના માં હવે કોઈ ગાંધારી બનીને આંખે પાટાઓ ન બાંધી રાખે અને પછી હસતા હસતાં  મશ્કરી ના ટોન માં કહે ,હા એટલું ચોક્કસ કરી શકાય કે , મિષ્ટાન્ન  બનાવ્યું હોય ત્યારે તેઓની આંખે પાટા બાંધી દેવાના ,એટલે દેખવુંય નહીં અને દાઝવુંય નહીં એમ કહીને વળી પાછું જોરદાર હાસ્ય. શ્રીમતી જી ની ફોન પરની વાતચીત થી મને એક વાત યાદ આવી ગઈ , હું નાનો હતો ત્યારે  ગરીબ માણસો ના સંદર્ભ માં પેટે પાટા બાંધવાની વાત પહેલી વખત સંભાળી ત્યારે બાળક સહજ દુઃખ થયેલું પરંતુ હળવે  હળવે ઉમર થતાં એ વાત થી હું ટેવાઈ ગયો અને ઘણીવાર મશ્કરી માં કહેતો પણ ખરો કે, તહેવાર માં ગળ્યું ખાવા ના મળે ત્યારે પેટ પર રંગીન પાટા  બાંધવા જોઈએ . ડાયાબિટીસ થી મારે પેટ પર તો નહિ પણ આંખે પાટા બાંધવા નો વિચાર તો જરૂર કરવો પડ્યો !
             વાસ્તવિક રીતે ડાયાબિટીસ ને લીધે જ્યારે મારે ખાવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો ત્યારે ખરેખર ઘણી વખત મને  નાના  છોકરાં ની જેમ રડવા નું મન થઇ જાય છે .વાસ્તવ માં સવાર થી મારી દિનચર્યા શરુ થાય તે સાથે જ મારાં કુટુંબીજનો , આપ્તજન અને હિતશત્રુ ઓ મારા પર જાસૂસી શરુ કરીદે છે . હું છાના માના, ખાનગી માં કંઈ ખાઈ લેતો નથીને તેનો બધા ખ્યાલ રાખે છે. મારા માટે જ નહીં પરંતુ ડાયાબિટીસ ની ઝપટ માં આવી ગયેલ દરેક વ્યક્તિ ની મુશ્કેલી સવાર થી ચાલુ થઇ જાય છે , સવાર ની ચા મોળી અથવા સ્યુગરફ્રી વાળી , સવારે નાસ્તા માં પણ ખાવા જેવી કે ભાવતી કોઈ વસ્તુ નહીં લેવાની ,બન્ને વખત ભોજન માં પણ ઘાસ પાન જ લેવાનાં . મિષ્ટાન્ન  , ફરસાણ ,બટેટા , ભાત વગેરે ની તો સામે પણ નહિ જોવાનું ,અરે મીઠાશ ની બંધી તો એટલી કડક કે , મેં મારા શ્રીમતી ને પણ  સૂચના આપી દીધી છે કે  તમારે મારી સામે મીઠાશ થી જોવું પણ નહીં , કારણ તમારી દ્રષ્ટિ ની મીઠાશ કદાચ મારા સ્યુગર લેવલ માં વધારો કરીદે !! ઘણી વખત મને વિચાર આવે છે કે  ઘણા બાળકો જન્મે ત્યારે તેમને પૂર્વજન્મ ની વાતો યાદ હોય છે , મને પણ  મારા નવા જન્મ માં આ જન્મ ની યાદ રહેલી હશે તો? તો એવું પણ  બને કે મારા માટે   ગળસોદી”(નવજાત શિશુ ને અપાતું ગોળ અને મધ નું પાણી) ,તૈયાર થતી જોઇને મને ગળ્યું પીવા મળશે તે જાણી ને ,હું હર્ષ માં આવીને રડી પડીશ ,ત્યારે મને રડતો જોઇને મારા નવા જન્મ ના વડીલો મને ગળ્યું ખાવાની જન્મથી જ ઍલર્જી છે તેમ માની ને ,બીજું કોઈ પીણું આપશે તો?
             ડાયાબિટીસ સામાન્ય રીતે આળસુ , નવરા , ધનવાન , વિદ્વાન  માં વધારે જોવા મળે છે એવું મારૂ માનવું છે  . અને આમાં ના મોટાભાગના ના છટકબારી ગોતવામાં પણ ઉસ્તાદ હોય છે . મોટી કંપની માં ચીફ મેનેજર રહીચૂકેલા મારા એક સંબંધી માને છે કે  ખાંડખાવાની ડોક્ટર ના પાડે છે , એટલે ગોળખાવા માં વાંધો નહીં . એવી જ રીતે મારા ઘણા વિદ્વાન મિત્રો માને છે કે ડાયાબિટીસ માટે ગ્લુકોઝજવાબદાર છે , અને મોટા ભાગ ના ફળો માં  ફ્રૂક્ટોઝ નું પ્રમાણ વધારે હોય છે ,એટલે કોઈ પણ ફળ ગમે તે પ્રમાણ માં ખાવા માં  વાંધો નહિ. આવા પ્રકાર ની અસંખ્ય છટકબારી અસ્તિત્વ માં છે , જોકે મેડિકલ સાયંસ આ બધા સાથે સંમત નથી તે એક અલગ વાત છે . અને બીજી અગત્ય ની વાત  ડાયાબિટીસ ના દર્દી ના સગાંસંબંધી અને આસપાસ ના લોકો પણ એટલાજ બુદ્ધિશાળી હોય છે ,એટલે આવી મનમાની કરવા ન દે તે પણ સત્ય હકીકત છે , મારી વાત કરું તો મારા શ્રીમતી , બાળકો અને મારી સાથે સંકળાયેલા અન્ય લોકો મારા ખાવા માં એટલું બધું બંધન રાખે છે કે ઘણી વખત તો હું તેમને કહું છું કે ,આવો ખોટો જમવા નો ડોળ  કરવા કરતાં , સવાર ના પહોર માં મને ગાય અને ભેંસ ના ધણ ની સાથે ચરવા મોકલીદ્યો  ,એટલે કોઈ ચિંતા જ નહીં , મારા પત્ની આ બાબત સાથે અસહમત છે ,તેઓ કહે છે કે ગાય અને ભેંસ ની સાથે તમે ચરવા જાવ ત્યાં કોઈ પ્રકાર નું ગળ્યું ઘાસ નહિ ગોતી લ્યો તેની શી ખાતરી ?
          ડાયાબિટીસ ની એક મજા ની વાત એ છે કે ,મોટા ભાગ ના લોકો ની માન્યતા છે કે એલોપેથીમાં ડાયાબિટીસ માપવા માટે યોગ્ય સાધન છે ,પરંતુ તેને જડ મૂળ થી મટાડવા ની યોગ્ય દવા તેની પાસે નથી ,એલોપેથીક દવાથી ડાયાબિટીસ ને ખાલી કાબુમાં રાખી શકાય છે , તેને સંપૂર્ણપણે મટાડવા માટે આયુર્વેદ અથવા હોમિયોપથી પાસે ચોક્કસ દવા છે , આ વિવાદ અંત વિહીન છે એટલે તેના પર આપણે ચર્ચા નહીં કરીએ. પરંતુ મારો એક અનુભવ જરૂર કહીશ કે મારી આસપાસ ના ઘણા લોકો પાસે ડાયાબિટીસ ની આયુર્વેદિક  દવા છે . મને ઘણા મિત્રોએ જુદી જુદી દવા બતાવી છે . જેમાં મેથી , મામેજવો ,જાંબુના ઠળિયા,  વગેરે અસંખ્ય વસ્તુ આવી જાય છે ,મારા એક મિત્ર તો આવી ૧૧ જડીબુટ્ટી નું મિશ્રણ કરીને ,નરણે કોઠે (સવાર ના ઊઠીને તરતજ) તેનું સેવન કરે છે . એક મિત્ર એ એક નવો નુસખો બતાવ્યો , તેમણે  કહ્યું કે ચોક્કસ પ્રકાર ના નળિયા મળે છે ,તે લઇ ને રોજ નળિયાને પગ ના તળિયામાં રોજ ઘસવાનું રાખો, એ પ્રયોગ મને વ્યાજબી ન લાગ્યો કારણ દરેક સ્થળે નળિયું સાથે રાખવા થી ઘણી ગેરસમજૂતી થવાનો સંભવ રહે છે . પણ બીજા આ પ્રકારના પ્રયોગ ચોક્કસ કરેલ છે , પરંતુ પરિણામ શૂન્ય . આયુર્વેદ દવા નો પ્રયોગ મેં પૂરો કર્યો ત્યાં એક મિત્ર મળ્યા ,મારી કથની સાંભળી ,એકદમ ગંભીર મુખમુદ્રા કરી અને મને કહે તમે દવા પડતી મૂકો અને “યોગા “ કરો . મને તેઓ યોગા ના વર્ગ માં લઇ ગયા ,ડાયાબિટીસ ના દર્દ કરતા પણ સવારે વહેલા ઊઠી અર્ધી ઊંઘ માં યોગા એ મને ઘણી માનસિક તકલીફ આપી . મને પહેલી વખત સમજાયું કે યોગા ના પણ બે પ્રકાર છે એક તો શરીર ના અંગો ને ન સમજી શકાય એવી મુદ્રા માં આડી અવળી રીતે ગોઠવવા જેને યોગાસન કહેવાય , અમુક પ્રકાર ના આસન મા મને મારી મૂળ સ્થિતિ માં પાછું આવી  શકાશે કે નહિ તેની ચિંતા રહેતી . આસનો પૂરાં થાય ત્યાં જુદી જુદી રીતે શ્વાસ લેવા મૂકવા ની પ્રક્રિયા શરુ થાય ,જેને પ્રાણાયામ કહેવાય ,અને બહુ સહેલા દેખાતા પ્રાણાયામ થી પણ  હું મારા ગુરુ ને ક્યારેય સંતોષ ન આપી શક્યો. દિવસો સુધી કપાલભાટી પ્રાણાયામ કર્યો પણ ડાયાબિટીસ કાબુ માં ન આવ્યું ગુરુ ને આનું  કારણ પૂછ્યું તો તેમણે  કહ્યું કે તમે પ્રાણાયામ યોગ્ય રીતે કરતા નથી ,પછી કેવી રીતે મટે?!!!! ગુરુજીના આ અભિપ્રાય થી મને અત્યંત દુઃખ થયું ,કારણ કે હું સવાર ના ચાલવા જાઉં ત્યારે બગીચામાં કેટલાય લોકો નાક પકડીને કે પેટ અંદર બહાર કરીને પ્રાણાયામ(!!) કરતા હોય છે એટલે મને તો એમ જ હતું કે પ્રાણાયામ બહુ સરળ છે ,પરંતુ તેનો અનુભવ કાર્ય પછી મને લાગ્યું કે મારી શારીરિક કે માનસિક સ્થિતિ યોગા ને અનુકૂળ નથી . થોડા દિવસ પહેલાં બગીચામાં નવી ઓળખાણ થયેલ તેવા એક મિત્ર કહે કે તમે બીજું કશું ન કરો ફક્ત નિયમિત ચાલવાનું રાખો તો પણ ફાયદો થશે .મેં તેમને પૂછ્યું કે તમારો જન્મ કઈ સાલમાં થયો ? તેઓ કહે ૧૯૬૦માં , મેં તેમને કહ્યું ,કે તમારા જન્મ પહેલાં એટલે કે ૧૯૫૮ થી હું નિયમિત ચાલવા નીકળું છું ! બોલો હવે તમારી શું સલાહ છે ? તેઓ એ જવાબ ન આપતાકેટલાક યુવાન અને આધેડ ભાઈ બહેનો ની  માન્યતા – બાળક કે વૃદ્ધ વ્યક્તિ ને સલાહ આપવાના તેમના અધિકાર પર મેં હુમલો કર્યો હોય ,તેવી મુખમુદ્રા કરીને ચાલવા માંડ્યા .
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે તે મુજબ ,
                                      कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
                                     मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥४७॥

આપણે કાર્ય કરવાનું – ફળ ની આશા વગર અને કાર્ય છોડવું  પણ નહિ . કોઈક વાર મને લાગે છે કે ફળ ની આશા વગર કાર્ય ચાલુ જ રાખવું તે કદાચ ડાયાબિટીસ ના સંદર્ભમાં તો નહીં કહ્યું હોય ને ?

 જોકે આ લેખ લખવા નું કર્મ મેં ,હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટેની આચારસંહિતા ના ભાગ સ્વરૂપે લખેલ છે તેથી મનવાંછિત ફળ જરૂર મળશે તેવી શ્રદ્ધા છે અને હું પણ ગર્વ પૂર્વક જરૂર કહી શકીશ કે , હવે - - - હું પણ હાસ્ય લેખક !!

                 ------------------------------ X ------------------------------